ગણતંત્ર દિવસની પરેડ દરમ્યાન દેશના વિવિધ રાજ્યો પોતપોતાની સંસ્કૃતિની ઝાંખી કરાવતા ટેબ્લો દર્શાવતા હોય છે, જેમાં આ વખતે ગુજરાત મોઢેરા ખાતે આવેલા સૂર્યમંદિરનો ઈતિહાસ દર્શાવશે.
નવી દિલ્હી: ગુજરાત દ્વારા આ વર્ષે રાષ્ટ્રીય રાજધાની ખાતે આયોજીત ગણતંત્ર દિવસની પરેડ વખતે મોઢેરા ખાતે આવેલા સૂર્યમંદિરના ઈતિહાસની ઝલક દેખાડતો ટેબ્લો પ્રસ્તુત કરશે.
ગુજરાત તેમજ દેશના બાંધકામ ઈતિહાસમાં અચરજ સમાન એવા મોઢેરાના આ સૂર્યમંદિરની ખૂબ સુંદર પ્રતિકૃતિ રાજ્યના ટેબ્લોમાં દર્શાવવામાં આવશે.
આ પ્રતિકૃતિ એક ટીમ દ્વારા લગભગ 60 દિવસની મહેનત બાદ ઉભી કરવામાં આવી છે.
દર વર્ષે ગુજરાત સરકારના માહિતી ખાતાં દ્વારા ગણતંત્ર દિવસ નિમિત્તે પરેડ દરમ્યાન પ્રદર્શિત થનાર ટેબ્લોની પ્રતિકૃતિ અંગે નિર્ણય લેવામાં આવતો હોય છે.
એવું માનવામાં આવે છે કે મોઢેરા સૂર્યમંદિર ઓડિશામાં આવેલા કોણાર્કના સૂર્યમંદિર કરતાં પણ જૂનું છે અને તે 1026-24માં સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકી પહેલાએ બાંધ્યું હતું.
મોઢેરાનું સૂર્યમંદિર ઉત્તર ગુજરાતના મહેસાણા નજીક આવેલી પુષ્પાવતી નદીના કિનારે સ્થિત છે અને તે મારુ-ગુર્જર સ્ટાઈલમાં બનાવવામાં આવ્યું છે.
આ મંદિરમાં ગર્ભગૃહ ઉપરાંત એક સભા મંડપ અને સૂર્યકુંડ પણ આવેલો છે અને આ મંદિર 52 કોતરણીવાળા સ્તંભને આધારે ઉભું છે જે વર્ષના 52 અઠવાડિયાઓને નિર્દેશિત કરે છે.
નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લો તરીકે વિશ્વ પ્રસિદ્ધ મોઢેરાનું સૂર્યમંદિર રાજપથની શોભામાં અભિવૃદ્ધિ કરશે. ઉત્કૃષ્ટ શિલ્પ-સ્થાપત્ય અને સંસ્કૃતિના બેનમૂન સમન્વયસમા મોઢેરાના સૂર્યમંદિરની આબેહૂબ ઝલક ટેબ્લોમાં ઉજાગર કરવામાં આવી છે. pic.twitter.com/f0MBL9QPwj
— Gujarat Information (@InfoGujarat) January 22, 2021
ગુજરાતના આ વખતના ટેબ્લોમાં કિર્તી તોરણની પણ ઝાંખી હશે અને સૂર્યમંદિરની પ્રતિકૃતિ ધોલપુર પથ્થરથી બનાવવામાં આવી છે.
આ ઉપરાંત આ ટેબ્લો પર કેટલાક કલાકારો પણ જોવા મળશે જે સમગ્ર પરેડ દરમ્યાન તેના પર સતત ટિપ્પણી નૃત્ય કરતાં રહેશે.
મોઢેરા સૂર્યમંદિરની પ્રતિકૃતિ બનાવનારા તેમજ ટેબ્લો બનાવનારા અને તેના પર નૃત્ય કરનારા કલાકારોની કુલ સંખ્યા 60 થવા જાય છે.
eછાપું