અક્ષય કુમાર અને રોહિત શેટ્ટીની ફિલ્મ સૂર્યવંશી રિલીઝ માટે તૈયાર છે અને તેની રિલીઝ ડેટ પણ નક્કી થઇ ગઈ છે, પરંતુ સાથે સાથે એક તકલીફ પણ ઉભી છે જેને દૂર કરવી જરૂરી બની ગઈ છે.
મુંબઈ: અક્ષય કુમાર, કેટરીના કૈફ, અજય દેવગણ, રણવીર સિંગ અને ગુલશન ગ્રોવર અભિનીત અને રોહિત શેટ્ટીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ સૂર્યવંશીની રિલીઝ ડેટ જાહેર થઇ ગઈ હોવા છતાં તેની તકલીફ દૂર નથી થઇ રહી.
ગત વર્ષે માર્ચ મહિનામાં આ ફિલ્મ રિલીઝ થવાની હતી પરંતુ કોરોનાને કારણે લાગુ પાડવામાં આવેલા લોકડાઉનને કારણે અન્ય ફિલ્મોની જેમ જ આ ફિલ્મની રિલીઝ રોકી દેવામાં આવી હતી.
લોકડાઉન ખુલ્યા બાદ ધીરેધીરે સરકારે તમામ પ્રકારની મંજૂરી આપવાની શરુ કરી દીધી છે અને હવે થિયેટર્સ પણ 100% ક્ષમતા સાથે ખુલી શકશે તેવો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.
આથી રોહિત શેટ્ટી અને તેમની ટીમે 2 એપ્રિલ 2021ને સૂર્યવંશીની ફાઈનલ રિલીઝ ડેટ નક્કી કરી છે, પરંતુ હવે આ અંગે પણ એક તકલીફ ઉભી થઇ હોવાનું જાણવા મળ્યું છે.
ફિલ્મની રિલીઝ એક વર્ષ જેટલી લાંબી ખેંચાઈ ગઈ છે અને રોહિત શેટ્ટી અને રિલાયન્સ તેને એ રીતે રિલીઝ કરવા માંગે છે કે તેમને નાણાંકીય નુકશાન ન થાય.
પરંતુ સૂર્યવંશીના નિર્માતાઓની શરત મલ્ટીપ્લેક્સ કંપનીઓ માનવા માટે હાલપૂરતી તૈયાર નથી અને તેને કારણે ફિલ્મ 2 એપ્રિલે રિલીઝ તો થશે પરંતુ કોઈ બીજી વ્યવસ્થા સાથે.
રોહિત શેટ્ટી સાથે સંકળાયેલા એક સૂત્રએ પિંકવિલા નામની વેબસાઈટને જણાવ્યું છે કે ઉપરોક્ત સંજોગોમાં ફિલ્મ માત્ર સિંગલ સ્ક્રિન થિયેટર્સમાં જ રિલીઝ થશે અને મલ્ટીપ્લેક્સની પાંચ મોટી ચેઈનથી તે દૂર રહેશે.
જો કે Cinepolis, PVR, INOX અને Carnival દ્વારા હજી પણ રસ્તો બંધ નથી કરવામાં આવ્યો અને તેઓ આવતે અઠવાડિયે સૂર્યવંશીના નિર્માતાઓ સાથે પોતાની સુધારેલી શરતો લઈને એક મીટીંગ કરવાના છે.
જો આ મીટીંગમાં પણ કોઈ સમાધાન નહીં થાય તો પછી ફિલ્મ સમગ્ર ભારતમાં માત્ર સિંગલ સ્ક્રિન થિયેટર્સમાં જ રિલીઝ થઇ શકશે તે નક્કી છે.
સૂર્યવંશી એ રોહિત શેટ્ટીની પોલીસ ટ્રાયોલોજીનો ત્રીજો ભાગ છે જેમાં તેમની અગાઉની બે ફિલ્મો સિંઘમ અને સિમ્બા તેનો ભાગ રહી ચૂકી છે.
eછાપું