ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે જમીન વિવાદના લાખો કેસ એક ખાસ કાર્યક્રમ હેઠળ માત્ર બે જ મહિનામાં લાવી દઈને સુશાસનનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
લખનૌ: કોઇપણ વ્યક્તિ માટે જમીન વિવાદ માથાનો દુઃખાવો હોય છે કારણકે આ મામલાઓનો ઉકેલ કોર્ટમાં આવતાં વર્ષો લાગી જાય છે અને અમુક કિસ્સાઓમાંતો એક-બે પેઢી જેટલો સમય પણ વીતતો હોય છે.
ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે રાજ્યના જમીનલક્ષી વિવાદોનો ઉકેલ લાવવા માટે એક ખાસ કાર્યક્રમ ‘વરાસત’ (વિરાસત) શરુ કર્યો છે જે હેઠળ 6.9 લાખ જેટલા કેસોનો ઉકેલ અને નિકાલ લાવવામાં આવ્યો છે.
આ તમામ કેસોનો ઉકેલ લાવ્યા બાદ તેમાં જે જે વ્યક્તિને જમીન મળી છે તેમને તેમના માલિકીહક્કના પેપર્સ પણ સોંપી દેવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.
વરાસત કાર્યક્રમ રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા ગત વર્ષે 15 ડિસેમ્બરે શરુ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમનું સૂત્ર છે, “આપકી ઝમીન, આપકા અધિકાર, સબકો મીલે અપના ઉત્તરાધિકાર.”
અત્યારસુધીમાં આ કાર્ય પાંચ ચરણમાં કરવામાં આવ્યું છે જેને પૂર્ણ કરવા માટે 24,000 જેટલા લેખપાલ અને 2700 રેવન્યુ ઇન્સ્પેક્ટર્સની મદદ લેવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર આ તમામ દરેક ગામડામાં જઈને જમીન વિવાદની માહિતી લેતા હોય છે અને સ્થળ પર જ તેનો નિકાલ લાવી દેતા હોય છે.
ઉત્તર પ્રદેશ સરકારના આંકડા અનુસાર છેલ્લા બે મહિનામાં કુલ 6,98,164 કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે અને બાકીના કેસ હાલમાં અલગ અલગ તબક્કામાં નિકાલ થવાની રાહ જોઈ રહ્યા છે.
સરકાર લોકોને કસ્ટમર સર્વિસ સેન્ટર્સ (CHC) દ્વારા જમીન વિવાદ અંગેની અરજી કરવાની સુવિધા પણ આપી રહી છે.
ઉપરોક્ત આંકડાઓ ઉપરાંત 10,000 જેટલા કેસો વિવિધ રેવન્યુ કોર્ટ્સને પણ સોંપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
રાજ્યના જે જીલ્લાઓમાં આ કાર્ય અત્યંત સારી રીતે કરવામાં આવ્યું છે તે જીલ્લાઓમાં પ્રયાગરાજ, હરદોઇ, આઝમગઢ, ગાઝીપુર, જૌનપુર, અયોધ્યા, આંબેડકર નગર, બલિયા, ગોરખપુર, સુલતાનપુર, પ્રતાપગઢ, કૌશાંબી, લખીમપુર ખીરી, સીતાપુર અને ઉન્નાવ સામેલ છે.
આ કાર્યક્રમને મળેલી અદભુત સફળતાને કારણે હવે ઉત્તર પ્રદેશના તમામ જીલ્લાઓના અધિકારીઓ હવે તમામ મહેસુલી ગામડાઓ અને લેખપાલ દ્વારા આપવામાં આવેલી માહિતીના 10 ટકાની ઓળખ કરીને જમીનના એ વિવાદોનો પણ ઉકેલ લાવશે.
તમને ગમશે: ઉત્તર પ્રદેશમાં બાળકોના સંહારક જાપાનીઝ એન્કેફલાઈટીસ રોગ પર યોગી વિજય
eછાપું