‘ખેડૂત આગેવાન’ રાકેશ ટિકૈત બે દિવસની ગુજરાત મુલાકાતે છે અને તેમણે આજે અમદાવાદ ખાતે પત્રકારો સાથે ચર્ચા કરતા ગુજરાતમાં પણ દિલ્હીની જેમ જ ટ્રેક્ટર રેલી કરવાની ધમકી આપી હતી.
અમદાવાદ: રાકેશ ટિકૈત આજકાલ ગુજરાતની યાત્રા પર છે અને તેમણે આજે અમદાવાદના ગાંધી આશ્રમ ખાતેથી ગુજરાતની પ્રજાને દિલ્હી જેવી જ ટ્રેક્ટર રેલી ગાંધીનગરમાં કરવાની ધમકી આપી છે.
ગાંધી આશ્રમ ખાતે મહાત્મા ગાંધીને અંજલિ અર્પણ કર્યા બાદ રાકેશ ટિકૈતે પત્રકારો સાથે ચર્ચા કરતાં જણાવ્યું હતું કે,
ખેડૂતો ગુજરાતમાં તેમના ટ્રેક્ટરોનો ઉપયોગ કરીને પ્રદર્શન કરશે. હવે સમય આવી ગયો છે કે ગાંધીનગરનો ઘેરાવ કરવામાં આવે અને રસ્તાઓ રોકવામાં આવે. જો જરૂર પડશે તો અમે બેરીકેડ્સને તોડી નાખીશું.
ગત 26 જાન્યુઆરીએ દિલ્હીમાં ખેડૂતોએ ટ્રેક્ટર રેલી કાઢી હતી અને બેરીકેડ્સ તોડ્યા હતાં, એટલુંજ નહીં પરંતુ તેમણે લાલ કિલ્લા પર હુમલો કરીને રાષ્ટ્રધ્વજનું અપમાન પણ કર્યું હતું.
રાકેશ ટિકૈતના ઉપરોક્ત નિવેદનથી એવું જણાઈ રહ્યું છે કે તેઓ અને તેમના કાર્યકર્તાઓ ગુજરાતના પાટનગરમાં પણ એજ પ્રકારની અરાજકતા ફેલાવવા માંગે છે જેવી અરાજકતા તેમણે રાષ્ટ્રીય પાટનગર ખાતે ગણતંત્ર દિવસે ફેલાવી હતી.
ટિકૈતની ગુજરાતની યાત્રાનો આજે બીજો દિવસ છે અને તેમનો સાથ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આપી રહ્યા છે.
રાકેશ ટિકૈતે દાવો કર્યો હતો કે ગુજરાતના ખેડૂતોને એટલા માટે તકલીફ પડી રહી છે કારણકે અહીં કોઈજ આંદોલન ચાલી નથી રહ્યું અને કોર્ટ્સ પણ તેમને સહકાર નથી આપી રહી.
તેમણે ઉમેર્યું હતું કે ગુજરાતના ખેડૂતોને એમ કહેવાની ફરજ પાડવામાં આવી રહી છે કે તેઓ નફો રળી રહ્યા છે અને આથી તેઓ ખુશ છે.
રાકેશ ટિકૈત ગઈકાલે આબુરોડ થઈને ગુજરાતના દાંતીવાડા પહોંચ્યાં હતા અને આજે તેઓ અમદાવાદ આવ્યા હતા.
બપોરે તેઓ કરમસદ ગયા હતાં જ્યાં તેમણે સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આજે સાંજે રાકેશ ટિકૈતનો બારડોલી ખાતે એક સભા સંબોધવાનો પણ કાર્યક્રમ છે.
રાકેશ ટિકૈત જે ભારતીય કિસાન યુનિયન (BKU)ના અધ્યક્ષ છે તેઓ તેમના હજારો કાર્યકર્તાઓ સાથે લગભગ ચાર મહિનાથી દિલ્હીનો ઘેરો ઘાલીને બેઠા છે.
BKUની માંગણી છે કે સરકાર ત્રણેય નવા કૃષિ કાયદાઓને નિરસ્ત કરે અને ખેડૂતોને મિનીમમ સપોર્ટ પ્રાઈઝ (MSP)ની ગેરંટી આપતો કાયદો પસાર કરે.
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર BKUની આ માંગણી સાથે સહમત નથી.
eછાપું