હાય હાય! પ્રતિષ્ઠીત મહાનુભાવો અને બુદ્ધિજીવીઓ પણ લફરાંબાજ હોય?

6
379
Photo Courtesy: mentalfloss.com

સોશિયલ મિડીયામાં સક્રિય અને ગુજરાતી કોલમના ‘રીડર બિરાદરો’ હશે, એ આજના લેખનું શીર્ષક વાંચીને કુછ ભલતા હી સોચ રેલે હોંગે બાપ – લેકિન જૈસી જીસકી સોચ! આપણે તો, આજે ઈતિહાસના એવા દિગ્ગજ મહાનુભાવોની વાત કરવી છે જે પોતાના ક્ષેત્રમાં તો સફળ રહ્યાં જ છે પણ લફરાંબાજ બની રહેવામાં પણ એમણે પાછી પાની કરી નથી. ‘સંજુ’ ફિલ્મનું ટ્રેલર જોયું? ટ્રેલરમાં એક સીનમાં સંજુબાબા કહે છે કે મારે 308 ગર્લફેન્ડ્સ હતી, પણ રાઉન્ડ ફિગર કરવા 350 લખી નાખો. દેવઆનંદે પોતે નિખાલસતા સાથે એમના બેસુમાર સુંવાળા સંબંધોનું વિસ્તારપૂર્વક અને સ-રસ વર્ણન કરેલું છે. યુવા અભિનેત્રીઓથી લઈને નર્સ, એરહોસ્ટેસ સુધી! સુરૈયા સાથેની પ્રેમકહાણીની કરુણ નિષ્ફળતા બાદ દેવસા’બે કલ્પના સાથે પ્રેમલગ્ન કર્યા હતા.

રાતોરાત આરાધના ફિલ્મથી સુપરસ્ટાર બનેલા રાજેશ ખન્ના એક અય્યાશ સુપરસ્ટાર હતા. અંજુ મહેન્દ્રુથી લઈને ટીના મુનીમ સુધી એમનાં લફરાંની પરંપરા વિસ્તરેલી હતી. એક ફિલ્મી મેગેઝીનના એક ઈન્ટરવ્યૂમાં ટીના મુનીમે (અંબાણી નહોતી ત્યારે) કહેલું, ‘હું અને રાજેશ ખન્ના એક જ ટૂથબ્રશ વાપરીએ છીએ.’ આ સિવાય પણ ફોકસમાં રહેવાની ખન્ના સાહેબને ટેવ પડી ગઈ હતી. 31 વર્ષની ઉંમરે 17 વર્ષની ડિમ્પલ સાથે લગ્ન કરનાર આ સુપરસ્ટાર અંજુ મહેન્દ્રુ સાથે સાત વર્ષ લગ્ન કર્યાં વગર એક ઘરમાં રહેલા! ફિલ્મસ્ટારો માટે આ વાત કદાચ સામાન્ય ગણાય. પણ વિચારકો, સમાજસુધારકો લફરાંબાજ હોય એ વાત થોડી અજીબ નથી? માનમર્યાદા, સંયમની, સંસ્કૃતિની રોજ મંચ પર દુહાઈઓ દેતા માધાંતાઓ અને મોટા-માથાવાળા મહાનુભાવો છાનું રે છપનું ઘણું ઘણું પોતે કરી ચૂક્યા હોય છે. આજના લેખમાં ઘણાં અચંબા વાંચવા મળશે એ માટે તૈયાર રહેજો!

પ્રાચીન રોમમાં કાયદેસર રીતે ‘નગરવધૂ’ અને ‘વેશ્યા’ સાથે સંબંધ રાખવાની છૂટ હતી. સોક્રેટિસ જેવો મહાન તત્ત્વવેત્તા પણ વારાંગનાઓની છડેચોક મુલાકાર લેતો. એથેન્સની એસ્પેશિયા (Aspasia) નામની વારાંગના ફિલસૂફી, વક્તૃત્વ, અલંકાર, રસ જેવા વિષયો પર જાહેરમાં વિચારપ્રેરક વક્તવ્ય આપતી. ગ્રીસના સર્વશ્રેષ્ઠ શક્તિશાળી પુરુષ પેરેક્લીસ (Pericles) અને સોક્રેટિસ એના શ્રોતામંડળમાં સામેલ હતા. આખરે પેરિક્લીસ પોતાની પત્નીને છૂટાછેડા આપીને એસ્પેશિયા સાથે પરણ્યો પણ ખરો.

Photo Courtesy: mentalfloss.com

કાર્લ માર્ક્સ (Karl Marx) જેવો મહાન વિચારક પણ લફરાંબાજ હતો અને ઘરની કામવાળી લેન્ચનને દિલ દઈ બેઠો હતો. મહિના ગયા પછી પેટે ચાડી ખાધી. માર્ક્સની ખાનદાન પત્ની જૅની દુઃખી દુઃખી! તા. 23મી જૂન 1885ના દિવસે કામવાળીએ બાળક ફ્રેડરિક ડેમુથને જન્મ આપ્યો. માર્ક્સે વિશ્વામિત્ર જેવું કર્યું. એણે દીકરાનો સંપૂર્ણ અસ્વીકાર કર્યો. પોતાની પોલ ખૂલી જાય તો ક્રાંતિકારી તરીકેની પ્રતિષ્ઠાનું શું? ઈમેજ આગળ ઈમાન હાર્યું. એનો ખાસ મિત્ર એંજલ્સ બધું જાણતો હતો. મરતી વેળા એંજલ્સે માર્ક્સની દીકરી ઈલેનોરની કહી દીધું: ‘ફ્રેડરિક તારો ભાઈ થાય.’ સાચું બોલતા પકડાઈ ન ગયો એ માર્ક્સના જીવનની ખરેખરી કરૂણાંતિકા!

બર્ટ્રાંડ રસેલ (Bertrand Russell) જેવો તર્કશાસ્ત્રી, ગણિતશાસ્ત્રી અને વિચારક જબરો લફરાંબાજ હતો. લિટરેચરમાં નોબેલ પુરસ્કાર મેળવનાર રસેલે એક પછી એક એમ ત્રણ ત્રણ પત્નીઓને દગો દઈને છેવટે એ એડિથને પરણ્યો. ઘરની કામવાળી સાથે રસેલ પત્નીની દેખતાં છૂટ લેતો. કવિ ટી.એસ.એલિઅટ રસેલનો વિદ્યાર્થી હતો. એલિયટ પોતાની પત્ની વિવિયન સાથે લંડનમાં રસેલનો મહેમાન બન્યો અને થોડાક કલાકો માટે બહારગામ ગયો ત્યારે રસલે વિવિયન સાથે ધરાઈને સેક્સ માણ્યું હતું.

નોરા જોન્સ વિશે આ કોલમમાં લખેલું છે. નવ વાર ગ્રેમી એવોર્ડ્સ જીતી ચૂકેલી નોરા એક પોપ્યુલર અમેરિકન પોપસ્ટાર સિંગર, એક્ટ્રેસ અને ગીતકાર છે. નોરાનું સાચું નામ ‘ગિતાલી’ છે અને તેમના પિતાશ્રીનું નામ છે ભારતના હીરા જેવા સ્વર્ગસ્થ પંડિત રવિશંકર! રવિશંકરની ઑફિશિયલ દીકરી અનુષ્કા પણ ફ્યુઝન મ્યુઝિકમાં ધૂમ મચાવે છે. સિતારના સિતારા રવિશંકરજી નોરાની માતા હોટલ વેઈટ્રેન અને પિયાનિસ્ટ ‘સૂ જોન્સ’ સાથે અમેરિકામાં લિવ-ઈનમાં રહેતા ત્યારે 1979માં નોરા જન્મી. અને પંડિતજી ત્યારે લગ્ન વિના ભારતમાં સુકન્યા રાજનના સહવાસમાં હતા, ત્યારે ભારતમાં અનુષ્કા જન્મી! એ અગાઉ પંડિતજી 1941માં અલાઉદ્દીન ખાનના પુત્રી અન્નપૂર્ણા દેવી સાથે અંતરધર્મીય પ્રેમલગ્ન કરી છૂટા થઈ ગયા હતા. એમ. એફ. હુસેન, જેમના હાથ અપાર હુન્નરથી કસાયેલા પણ દિલ આશ્ચર્યથી મઢેલું! એમને લફરાંબાજ કહેવાય કે નહીં એ ચર્ચાનો અલગ વિષય છે પરંતુ હાથ અને દિલ બંને મળીને એવું રંગબેરંગી જાદુ ચલાવતા કે કેન્વાસના આકાશમાં પતંગિયાં ઊડવા માંડે. આ મકબૂલ ફિદા હુસેન બોલીવુડની ધકધક ગર્લ માધુરી દિક્ષીત પર ‘ફિદા’ થઈ ગયેલા. માધુરીને લઈને માધુરી પર જ એમણે ‘ગજ ગામિની’ ફિલ્મ બનાવીને કહેતા થઈ ગયા હતા કે ‘તિતલી દબોચ લી મૈંને’!

તોલ્સ્તોયનું પણ એવું જએટલેકે એ પણ લફરાંબાજ! ગાંધીજીને જો ખરેખર તોલ્સ્તોયની ખબર પડી ગઈ હોત, તો એમને સાબરમતી આશ્રમના ઓટલે જ તમ્મર આવી ગયા હોત. તોલ્સ્તોય 34 વર્ષના હતા ત્યારે એક ડોક્ટરની 18 વર્ષીય પુત્રી સોનિયા બેહર્સને પરણ્યા. પાંચ ફીટ ઊંચી સોનિયા અને છ ફીટથી વધુ ઊંચા તોલ્સ્તોયનું લગ્નજીવન ઈતિહાસનાં સૌથી અસફળ લગ્નજીવનોમાંનું એક છે. 22 વર્ષોમાં સોનિયા 12 વખત ગર્ભવતી બની. તોલ્સ્તોયે એક વાર લખ્યું હતું: સશક્ત પુરુષ માટે બીમાર પત્ની હોય એનાથી બદતર બીજું કંઈ નથી! તોલ્સ્તોયના ચાર મુખ્ય શોખ હતાઃ જુગાર, વેશ્યાગમન, શરાબ અને ધૂમ્રપાન. એમણે પણ માર્ક્સની માફક પોતાના અવૈધ પુત્ર ટિમોફીનો સ્વીકાર ન કર્યો. ખેડૂતોનાં બાળકો માટે સ્કૂલો ખોલનાર તોલ્સ્તોયે એમના પોતાના ગેરકાયદેસર પુત્રને અભણ રાખ્યો હતો. અંગૂઠાછાપ ટિમોફી ફાર્મ પરના તબેલામાં કામ કરતો રહ્યો અને અંતે તોલ્સ્તોયના વૈધ પુત્ર એલેક્સેઈની ઘોડાગાડીનો કોચમેન બન્યો હતો. તા. 4-5-1853ને દિવસે તોલ્સ્તોયે પોતાની અંગત ડાયરીમાં લખ્યું: ‘સ્ત્રી તો જોઈએ જ! વિષય-લોલુપતા મને પળવાર પણ ઠરીને બેસવા દેતી નથી.’ 81મા વર્ષ સુધી તોલ્સ્તોય સેક્સમાંથી છૂટી શકતા નથી. જવાનીમાં શરમાળ પ્રકૃતિને લીધે એ વેશ્યાલયોમાં જતા, એમને ગોનોરીઆ (એઈડ્સ જેવો સેક્સને લગતો એક રોગ) પણ થઈ ગયો હતો.

મેરી લુતિયાનું પુસ્તક ‘ક્રિષ્નમૂર્તિઃ ધ ઈયર્સ ઓફ અવેકનિંગ’ વાંચવા જેવું છે. એ પુસ્તકના પાન 131 પર મેરી લખે છે કે જે. કૃષ્ણમૂર્તિ હેલન નોથ નામની સત્તર વર્ષની અમેરિકન યુવતીના પ્રેમમાં ગળાડૂબ હતા. એમણે લેડી એમિલીને પત્રમાં લખ્યું હતું: લાંબા સમય માટે હું હેલનને છોડીને જાઉં છું, તેથી ખરેખર ખૂબ જ દુઃખી છું. હું ભારે પ્રેમમાં છું… મને લાગે છે કે મારી ભીતર કોઈ ભયંકર જખમ પડ્યો છે. મહાન ફિલસૂફ જે. કૃષ્ણમૂર્તિના જીવનમાં પ્રવેશ પામનારી હેલન પ્રથમ સ્ત્રી જરૂર હતી પણ છેલ્લી ન હતી.

પચાસ વર્ષની ઉંમરે પહોંચેલા પંડિત નહેરુએ તા. 18-11-1937ને દિવસે પ્રિયતમા પદ્મજા નાયડુને પત્રમાં લખ્યું હતું: ઓ મારી પ્રિયા! વર્ષો વીતી હાય અને આપણને હાથતાળી દઈ જાય તોય આપણે કેટલાં નાદાન રહ્યાં છીએ! તારો પ્રેમાળ ચહેરો જોવા ઝંખું છું. પદ્મજા નાયડુ પંડિત નહેરુની એકમાત્ર પ્રિયતમા ન હતી. પદ્મજાએ તાર કર્યો ત્યારે તેના જવાબમાં પંડિત નહેરુએ તારથી જણાવ્યું: ‘પ્રિયે! તારો તાર મને મળ્યો છે. કેટલો મૂર્ખતાભર્યો, સ્ત્રીસહજ અને ખર્ચાળ! કે પછી સુભાષને પ્રેમ કર્યો તે બદલ તેં કરેલું પ્રાયશ્ચિત હતું?’ પદ્મજાએ પહેલાં સુભાષચંદ્ર બોઝને પ્રમ કર્યો હતો એ વાત નક્કી!

લેબોનોનનો મસીહા અને ગદ્યકવિ ખલિલ જિબ્રાન સ્ત્રીઓ પ્રત્યે અધિકતમ આકર્ષણ ધરાવનાર મહાન ચિંતક હતો. એની માતાનું નામ કપિલા હતું. જિબ્રાન એવું માનતો હતો કે જીવનના સત્યનું શ્રેષ્ઠ પ્રતીક મનુષ્યનું નગ્ન શરીર છે. એનાં ચિત્રોમાં નગ્ન શરીર કલાત્મક રીતે વારંવાર પ્રગટ થતું રહ્યું. જિબ્રાને અને સ્ત્રીઓને ભરપૂર પ્રેમ કર્યો હતો, તોય એના મહાત્માપણાને ક્યારેય આંચ આવી ન હતી.

‘પુરુષો પેઅર (નાસપતી) કે પિચનાં ફળ જેવા હોય છે. પાકે અને સડી જાય એ પહેલાં તેઓ થોડા ગળચટ્ટા જરૂર થઈ જતા હોય છે.’ એવું અમેરિકન ફિઝિશિયન, કવિ અને લેખક ઓલિવર વેંડલ હોલ્મસે કહેલું. દરેક ઉત્તરવયસ્ક પુરુષ, દરેક વાનપ્રસ્થ પુરુષ એક નિષ્ફળતા છે (આપણા પ્રિય ફિલ્મસ્ટારોના અપવાદ સિવાય) એવું કોલિન વિલ્સન ‘એજ ઓફ ડિફીટ’માં લખે છે. મોટી ઉંમર એ પુરુષ માટે બધી જ આશાઓ ફળીભૂત થઈ ગયા પછી નિરાશામાં ડૂબી જવાની ઉંમર છે.

પડઘોઃ

ફ્રાન્ઝ કાફકા નામના એક ધૂની વિચિત્ર લેખકની કેટલીયે ડાયરી પ્રકાશિત થઈ છે. જેમાં એક જગ્યાએ એમણે લખ્યું છે, “સ્ત્રી ભોજન છે…ભોજન જેટલી જ વિવિધતા ધરાવે છે…ક્યારેક ચાઈનીઝ તો ક્યારેક ઈટાલિયનનો સ્વાદ માણવાનું મન થાય છે. ક્યારેક ચટપટું અને તીખું તમતમતું મસાલેદાર…તો ક્યારેક સાવ સાદું, બાફેલું ભોજન પણ જીભને ભાવે છે. રોજ એકનું એક ભોજન ખાઈ શકાતું નથી એમ જ એક સ્ત્રી સાથે જીવવું અઘરું છે.”

(વાચકમિત્રો, આ લેખમાં ટાંકેલા કાર્લ માર્ક્સ, બર્ટ્રાંડ રસેલ, તોલ્સ્તોય, પંડિત નહેરુ, ખલિલ જિબ્રાન અને જે. કૃષ્ણમૂર્તિના ઉદાહરણો શ્રી ગુણવંત શાહના લખાણો માંથી લીધેલા છે. Full credit to the original writer.)

eછાપું

તમને ગમશે: મારા પ્રિય સવર્ણ અને દલિત હિન્દુઓ – એક ખુલ્લો પત્ર

6 COMMENTS

  1. લેખકશ્રી, આટલું બધું ખુલ્લમ ખુલ્લા કોપી-પેસ્ટ. આખાને આખા પેરેગ્રાફ્સ ગુણવંત શાહના.
    હિમંત અને પસ્તાવો હોય તો આ કોમેન્ટ ડીલીટ ન કરતા અને થોડું આત્મનિરીક્ષણ કરશો.

    આ તો આકસ્મિક રીતે નજરે પડ્યું. આ પહેલા આપે કેટલું અને કોનું કોપી પેસ્ટ કર્યું એ તો આપ જ જાણો…

    આમ લેખક ન બનાય. ‘હે પસ્તાવો વિપુલ ઝરણું’ જેવું કંઇક સુઝે તો જાહેર માફી માંગી શકો છો.

  2. અમીષાજી,

    તમારી વાત સાચી છે, આ લેખમાં ટાંકેલા ઉદાહરણો જુદી જુદી જગ્યાએથી લીધેલા છે અને મેં ઓરિજીનલ લેખકને ક્રેડિટ આપ્યું નથી. એ માટે હું જાહેરમાં તમારી અને દરેક લેખકોની માફી માંગું છું. આજ પછી આવા કોઈ પણ સંદર્ભો લેખને અંતે ક્રેડિટ આપીને જ લખીશ એ વાતની ખાત્રી આપું છું. આ લેખને edit કરીને સંદર્ભો લખીને publish કર્યો છે. તમને લાગતું હોય તો એડિટરને કહીને આર્ટીકલને સાઈટ પરથી હટાવી દઈએ. તમે આ માફી સ્વીકારી છે એ વાતની એક કોમેન્ટ અહીં જરૂર કરશોજી.

    echhapu ની એડિટર ટીમ,

    echhapu જેવા prestigious પ્લેટફોર્મ પર આવો માન-હાનિનો દાવો મંડાય એ માટે હું જાહેરમાં તમારી પણ માફી માંગું છું. કોલમ વિશે તમારી કોઈ ફરિયાદ કે નિર્ણય હોય તો આવકાર્ય છે.

    સંજય પિઠડીયા

    • સંજયભાઈ, આપે કબૂલ કર્યું એ જ બસ. છે. આ વાત અહીં અને અત્યારે જ પતી જાય છે. મને ખાતરી છે કે આપ ભવિષ્યમાં આવું નહીં જ કરો. આભાર આપનો પણ અને ખાસ તો echhapu ના સર્વેસર્વાં શ્રી સિધાર્થ છાયાનો પણ. મને એમનો મેસેજ પણ મળ્યો. મારી કોમેન્ટ છાપી એ જ એમની ખેલદિલી અને openness દર્શાવે છે.

      અમીષા
      .

      • Thank you so much Amishaben. ભૂલ થઈ છે એટલે ખેલદિલી અને હિંમત તો બતાવવી જ જોઈએ એવું મને લાગ્યું. બીજી વાત કે ભૂલ જાહેરમાં કરી તો માફી પણ જાહેરમાં માંગી. I will make sure there are no more violations like this in future.

  3. ભાઈ આવું શીદને કરો છો ? જેવું લખી શકો તેવું મૌલિક રીતે લખો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here