દિલ્હીમાં ચાલી રહેલા કિસાન આંદોલનમાં ગયા અઠવાડિયે દેશવિરોધી, હિંદુ મહિલાઓ વિરોધી તેમજ ગુજરાતી વિરોધી અપમાનજનક ભાષણ કરનાર યોગરાજ સિંગને પોતાના કર્મનું ફળ મળી ગયું છે.
મુંબઈ: જાણીતા ફિલ્મ નિર્દેશક વિવેક અગ્નિહોત્રીએ પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંગના પિતા યોગરાજ સિંગને પોતાની અગામી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’માંથી કાઢી મુક્યા છે. યોગરાજ સિંગે હાલમાં દિલ્હીમાં ચાલી રહેલા કિસાન આંદોલન દરમ્યાન હિંદુ મહિલાઓ વિરુદ્ધ અપમાનજનક ભાષાનો પ્રયોગ કર્યો હતો.
યોગરાજ સિંગનો આ વિડીયો સોશિયલ મિડિયામાં વાયરલ થયો હતો. આ વિડીયોમાં યોગરાજ સિંગ ફક્ત હિંદુ મહિલાઓ વિષે જ અપમાનજનક ટિપ્પણીઓ કરતા નજરે ચડ્યાં ન હતાં પરંતુ તેમણે દેશવિરોધી વાતો પણ કરી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ અમિત શાહનો સંદર્ભ લઈને ગુજરાતી પ્રજાનું પણ અપમાન કર્યું હતું.
આ વિડીયો વાયરલ થયા બાદ સોશિયલ મિડિયામાં યોગરાજ સિંગ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી. પરંતુ નિર્દેશક વિવેક અગ્નિહોત્રીએ અન્ય કોઈની રાહ જોયા વગરજ યોગરાજ સિંગની પોતાની ફિલ્મ ‘કાશ્મીર ફાઈલ્સ’ માંથી તત્કાલિક હકાલપટ્ટી કરી દીધી છે.
વિવેક અગ્નિહોત્રીએ પત્રકારોને પોતાના નિર્ણય અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે,
હા મેં એમને કાશ્મીર ફાઈલ્સમાં એક મહત્ત્વની ભૂમિકા કરવા માટે પસંદ કર્યા હતા. મને ખબર હતી કે વિવાદિત નિવેદનો આપવાનો તેમનો એક લાંબો ઈતિહાસ છે, પરંતુ મેં એ બાબતોની અવગણના કરી હતી કારણકે હું કળા અને કળાકારોમાં વિશેષ અંતર નથી રાખતો. પરંતુ જ્યારે મેં એ નિવેદન સાંભળ્યું તો મને આઘાત લાગ્યો. હું મહિલાઓ વિષે આવી નિમ્નસ્તરની ટીપ્પણી નથી સાંભળી શકતો.
વિવેક અગ્નિહોત્રીએ આગળ જણાવ્યું હતું કે આ વાત હિંદુ-મુસલમાનની નથી, આ તેમના નિમ્નસ્તરના નિવેદન અંગે છે, જે કોઇપણ સ્ત્રી માટે અપમાનજનક છે. તે એકદમ બેહુદા તેમજ વિભાજનકારી નેરેટીવ તૈયાર કરી રહ્યા છે.
વિવેક અગ્નિહોત્રીની કાશ્મીર ફાઈલ્સ 1980 થી 2020 સુધીના એ વર્ષો પર પ્રકાશ પાડે છે જ્યારે કાશ્મીરમાં હિંસા ચરમસીમાએ હતી અને બિનમુસ્લિમો પર અસંખ્ય અત્યાચારો કરવામાં આવ્યા હતા. વિવેક અગ્નિહોત્રીના કહેવા પ્રમાણે તેમણે યોગરાજ સિંગને પોતાનો નિર્ણય એક પત્ર દ્વારા પાઠવી દીધો છે, પરંતુ તેમણે એ પત્ર વાંચ્યો છે કે નહીં તેની એમને ખબર નથી, અને તેમને તેનાથી કોઈ ફર્ક પણ પડતો નથી.
થોડા દિવસ અગાઉ યુવરાજ સિંગે પોતાના જન્મદિવસ નિમિત્તે Instagram પર એક પોસ્ટ કરી હતી જેમાં તેણે લખ્યું હતું કે તે પોતાના પિતાની વર્તણુકથી દુઃખી અને આઘાત પામ્યો છે.
eછાપું
તમને ગમશે: તનુશ્રી દત્તા નાના પાટેકર વિરુદ્ધ પોલીસ ફરિયાદ કેમ દાખલ નથી કરતી?