ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અંગત મિત્ર અને ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુ ચૂંટણી બાદ ગઠબંધન બનાવવામાં નિષ્ફળ જતા ઇઝરાયેલ બે મહિનાની અંદર જ ફરીથી ચૂંટણીનો સામનો કરશે.
જેરુસલેમ: ઇઝરાયેલ પુનઃમતદાનના આરે આવીને ઉભું રહી ગયું છે. ગત એપ્રિલમાં જ વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુનો લિકુદ પક્ષ 120ની નિસ્સેટમાં સહુથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો હતો.
નેતન્યાહુને ગઈકાલ સુધી નિસ્સેટમાં પોતાની બહુમતિ સાબિત કરવાની હતી પરંતુ તેઓ તેમ કરવામાં નિષ્ફળ ગયા હતા. એવું કહેવાય છે કે અતિજમણેરી વિદ્યાર્થી પક્ષના બે સભ્યોએ નેતન્યાહુ સાથે જોડાવાની છેક સુધી ના પાડતા આ પરીસ્થિતિ સર્જાઈ છે.
ગઈકાલની ડેડલાઈન સુધી લિકુદ પોતાનો બહુમત સિદ્ધ ન કરી શકતા નિસ્સેટે અહીનાં કાયદા અનુસાર પોતાની જાતને જ ભંગ કરી દીધી હતી. આ નિર્ણય આવવાની સાથેજ ઇઝરાયેલના વિવિધ પક્ષોમાં આરોપ પ્રતિ આરોપનો દોર શરુ થઇ ગયો હતો.
વિપક્ષી દળોનું કહેવું છે કે બેન્જામીન નેતન્યાહુ ગઠબંધન ઉભું કરી શકવાના ન હતા તેમ છતાં તેમણે સરકાર બનાવી અને હવે તેઓ નિષ્ફળ જતા તેમણે દેશને માત્ર એક જ મહિનામાં ફરીથી ચૂંટણી તરફ ધકેલી દીધો છે અને તેના પર લાખો નાણાનો ખર્ચ થશે.
તો લિકુદ પાર્ટીના નેતાઓનું કહેવું છે કે અતિજમણેરી પક્ષના આગેવાનો પહેલેથી જ નેતન્યાહુ વિરુદ્ધ હતા અને ખરેખર તો તેઓ નેતન્યાહુને અંગત રીતે નફરત કરે છે. આ રીતે તેમણે અંગત દ્વેષ વચ્ચે લાવતા દેશને તકલીફમાં મૂકી દીધો છે. આ નેતાઓએ એમ પણ કહ્યું છે કે આવનારી ચૂંટણીઓમાં જો વામપંથી પાર્ટીઓ સત્તામાં આવશે તો તેની જવાબદારી પેલા બંને નેતાઓ પર જ રહેશે.
ઇઝરાયેલમાં હવે નવી ચૂંટણીઓ સપ્ટેમ્બર મહિનામાં થશે, આ જ મહિનામાં બેન્જામીન નેતન્યાહુ પોતાના પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપ અંગે આવનારા ચુકાદાનો સામનો કરવાના છે.
23 મે ના દિવસે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભવ્ય વિજય પર તેમને સહુથી પહેલી શુભેચ્છાઓ આપનારા વૈશ્વિક આગેવાનોમાં બેન્જામીન નેતન્યાહુ હતા અને તેમણે ફોન પર જ નરેન્દ્ર મોદીને કહ્યું હતું કે તમને જંગી બહુમતિ મળી છે અને તમને કોઈજ ટેન્શન નથી જ્યારે મારે હજી મમારા સાથીદારોને સમજાવવાના છે.
eછાપું