ભ્રષ્ટાચાર નિર્મૂલનના મક્કમ ઈરાદા સાથે નરેન્દ્ર મોદી સરકારે પોતાની પ્રથમ મુદતમાં ભ્રષ્ટ અધિકારીઓને ફરજીયાત નિવૃત્તિ આપવાના પોતાના કાર્યને પોતાની બીજી મુદતમાં પણ ચાલુ રાખ્યું છે.
નવી દિલ્હી: પહેલી મુદતમાં કામ ન કરનારા તેમજ ભ્રષ્ટાચારી કેન્દ્ર સરકારના કર્મચારીઓને બરખાસ્ત કરીને કે તેમને વહેલા નિવૃત્ત કરીને નરેન્દ્ર મોદી સરકારે આશ્ચર્ય સર્જ્યું હતું. ત્યારબાદ પણ વખતો વખત સરકાર આ પ્રમાણે પગલાં લેતી આવી છે અને પોતાની બીજી મુદતમાં પણ મોદી સરકારે ભ્રષ્ટાચાર પરનું પોતાનું આક્રમણ ચાલુ રાખ્યું છે.
એક સમાચારમાં જણાવવામાં આવ્યું છે કે પ્રત્યક્ષ અને સીમા શુલ્ક બોર્ડ (CBIC) દ્વારા 22 વરિષ્ઠ અધિકારીઓને ફરજીયાત વહેલી નિવૃત્તિ આપી દેવામાં આવી છે. જાણવા મળ્યા અનુસાર આ તમામ અધિકારીઓને ભ્રષ્ટાચાર અને અન્ય આરોપો હેઠળ ફન્ડામેન્ટલ રુલ 56(J) હેઠળ ફરજીયાત નિવૃત્તિ આપવામાં આવી છે.
ફરજીયાત નિવૃત્તિ આપવામાં આવી છે એ તમામ અધિકારીઓ દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ અને મેરઠ શહેરો સાથે સંકળાયેલા છે. તેમાંથી કેટલાક અધિકારીઓ પર અમુક હજાર તો કેટલાક અધિકારીઓ પર અમુક લાખ રૂપિયાની લાંચ માંગવાનો આરોપ છે.
એક અધિકારી પર તો દુબઈથી 1224 ગ્રામ સોનુ ગેરકાયદેસર લઇ આવનારા એક યુવક પાસેથી દિલ્હી એરપોર્ટ પર 58 ગ્રામ સોનુ લેવાનો પણ આરોપ છે. આ અગાઉ જૂન મહિનામાં કેન્દ્ર સરકારે પ્રત્યક્ષ બોર્ડના 12 અધિકારીઓ સહીત 27 વરિષ્ઠ IRS અધિકારીઓને પણ આ જ નિયમ હેઠળ ફરજીયાત અને વહેલી નિવૃત્તિ આપી દીધી હતી.
અત્યારસુધીમાં ભ્રષ્ટાચાર અને લાંચના આરોપ હેઠળ કુલ 49 અધિકારીઓને મોદી સરકારે ફરજીયાત સેવાનિવૃત્તિ આપી દીધી છે.
eછાપું