દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે… કૃષ્ણ એક એવા પૂર્ણ પુરુષોત્તમ દેવ છે જેની માયા દરેક ઉંમરના, દરેક જાતિના અને દરેક લિંગના લોકોને લાગી છે. ‘રાધાના સ્વામી‘, ‘સુદામાના ભાઈબંધ‘, ‘મીરા કે પ્રભુ ગિરીધર નાગર‘, ‘નરસૈંયાનો સ્વામી શામળિયો‘ – દરેક ભક્તોએ કૃષ્ણને ઈચ્છ્યા છે અને પામ્યા છે. આવા જ એક કૃષ્ણભક્તિમાં લીન કવિ છે – રસખાન!
રસખાન એક પઠાણી મુસ્લિમ પરિવારમાં જન્મેલા અને તેમનું અસલી નામ સૈયદ ઇબ્રાહિમ હતું. ‘ખાન‘ તેમનું બિરુદ હતું. નવલગઢના રાજકુમાર સંગ્રામસિંહ પાસેથી પ્રાપ્ત કરેલી રસખાનની તસવીર પર નાગરી લિપિ ઉપરાંત ફારસી લિપિમાં એક જગ્યાએ ‘રસખાન‘ અને બીજી બાજુ ‘રસખાં‘ નામો મળી આવ્યા છે. ફારસી કવિઓના નામની પરંપરાનું પાલન કરતા રસખાને પોતાના બિરુદની પહેલા ‘રસ‘ શબ્દ લગાડીને, પોતાને રસથી ભરેલા ખાન અથવા રસદાર ખાનની કલ્પના સાથે લોકો સમક્ષ પોતાનું નામ મૂક્યું. પહેલાં તે લૌકિક રસનો સ્વાદ લેતા અને પછી અલૌકિક રસમાં સમાઈને કવિતા રચવા લાગ્યા. એક જગ્યાએ, તેમની કવિતામાં પણ ‘રસખાં‘ શબ્દનો ઉપયોગ જોવા મળે છે.
नैन दलालनि चौहटें म मानिक पिय हाथ।
“रसखाँ‘ ढोल बजाई के बेचियों हिय जिय साथ।।
મુસ્લિમ સુફીઓ દ્વારા વિકસિત રહસ્યવાદી કૃષ્ણભક્તિની પરંપરા એ ભારતીય સુફીવાદની સૌથી ઓછી જાણીતી વાત છે. કૃષ્ણભક્તિમાં લીન સુફીઓએ જે છંદો રચ્યા છે, તે હજી પણ ઉત્તર ભારતના ગામડાઓમાં વ્યાપકપણે ગવાય છે. આ સૂફી કવિઓએ કૃષ્ણ અને તેમની ગોપીઓ વચ્ચેનો પ્રેમ (લીલા) ને કેન્દ્રમાં રાખીને ભગવાન સાથેનો એક શુભ સેતુ બનાવ્યો છે. કૃષ્ણમય કલ્પનાનો ઉપયોગ કરીને સુફી કવિઓએ બે હેતુ સિદ્ધ કર્યા છેઃ એક તેમના ઉપદેશો જનતા માટે વધુ સરળ અને સમજદાર બનાવ્યા અને બીજુ હિંદુઓ અને મુસ્લિમોને એકબીજાની વધુ નજીક લાવ્યા.
રસખાનના જન્મસંબંધી વિદ્વાનોમાં ઘણાં મતભેદ છે. ઘણા વિદ્વાનોએ તેમના જન્મને સન 1615માં તો કેટલાક વિદ્વાનોએ સન 1630માં માને છે. ખુદ રસખાન કહે છે કે ‘વિદ્રોહ‘ના કારણે જ્યારે દિલ્હી સ્મશાન જેવી બની ગઈ હતી ત્યારે તેઓ દિલ્હી છોડીને વ્રજમાં દોડી ગયા હતા. ઐતિહાસિક પુરાવાઓના આધારે એવું જાણવા મળે છે કે સન 1613માં વિદ્રોહ થયો હતો. તેમની વાત પણ સૂચીત કરે છે તેઓ વિદ્રોહના સમયે પુખ્તવયના હતા એટલે કે એ વિદ્રોહ પહેલાં તેમનો જન્મ થયો હોવો જોઈએ. અનેક તથ્યોના આધારે રસખાનના જન્મને સન 1590 તરીકે ધ્યાનમાં લેવું વધુ યોગ્ય બને છે.
પીહાની અને બિલગ્રામ એ સ્થાનો છે જ્યાં હિન્દીના મહાન અને શ્રેષ્ઠ ગુણવત્તાવાળા મુસ્લિમ કવિઓનો જન્મ થયો હતો. રસખાનના જન્મસ્થળ વિશે પણ ઘણા વિદ્વાનોએ જુદા જુદા મંતવ્યો રજૂ કર્યા છે. ઘણા રસખાનનું જન્મસ્થાન પીહાની અથવા દિલ્હી કહે છે. અગાઉ લખ્યું છે તેમ, રસખાને વિદ્રોહને કારણે દિલ્હીને સ્મશાનગૃહ તરીકે વર્ણવ્યું છે. તેમનું પાછળનું જીવન મથુરામાં વિત્યું. શિવસિંહ સરોજ અને હિન્દી સાહિત્યના પ્રથમ ઇતિહાસ તથા ઐતિહાસિક તથ્યો અને અન્ય પુરાવાના આધારે, રસખાનનું જન્મસ્થાન પિહાની જિલ્લાનું હરદોઈ ગામ માનવામાં આવે છે.
રસખાન એક જાગીરદાર પિતાના પુત્ર હતા. તેથી, તેમનો ઉછેર ખૂબ લાડ અને પ્રેમથી થયો હતો. તેમની કવિતાઓમાં કોઈ પણ પ્રકારની કડવાશનો અનુભવ નથી થતો. સમૃદ્ધ પરિવારમાં જન્મેલા, રસખાનનું શિક્ષણ સારું અને ઉચ્ચ ગુણવત્તાનું હતું. તેમની વિધ્વત્તા તેમની કવિતાની અભિવ્યક્તિમાં જોવા મળે છે. રસખાનને ફારસી, હિન્દી અને સંસ્કૃત ભાષાનું સારું જ્ઞાન હતું. ફારસી ભાષામાં તેમણે ‘શ્રીમદ્ ભાગવત‘ નું ભાષાંતર કર્યું હતું.
મધ્યકાલીન લખાણ ‘ભક્તકલ્પદ્રુમ‘ની એક વાર્તાનુસાર, રસખાન એકવાર તેમના સુફી ગુરુ સાથે વૃંદાવનની યાત્રાએ આવેલા. ત્યાં તે બેભાન થઈ ગયા અને તેણે બેભાન અવસ્થામાં કૃષ્ણના દર્શન થયેલા. ત્યારબાદ, તેમણે અંતિમ શ્વાસ લીધા ત્યાં સુધી તેઓ વૃંદાવનમાં રહ્યા. બીજી એક વાર્તા એવી પણ છે કે રસખાન એક ખૂબ સુંદર અને અભિમાની સ્ત્રીના પ્રેમમાં પડ્યા હતા. જ્યારે તેમણે ‘ભાગવત પુરાણ‘ વાંચ્યું ત્યારે તે કૃષ્ણ પ્રત્યેની ગોપીઓના નિસ્વાર્થ પ્રેમથી એટલા પ્રભાવિત થયા કે તે પોતાની પ્રેમિકાને છોડીને સીધા વૃંદાવન તરફ પ્રયાણ કર્યુ.
સૈયદ ઇબ્રાહિમ ‘રસખાન‘ની કવિતાનો આધાર ભગવાન કૃષ્ણ છે. રસખાને ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓના જ ગીત લખ્યા છે. ભક્તિ તેમની બધી જ કવિતાઓમાં દેખાય છે. રસખાને ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ દ્વારા જ સુફીધર્મને પ્રગટ કર્યો છે. તેમના કાવ્યાત્મક વિષયોને ત્રણ ખંડમાં વહેંચવામાં આવ્યા છે (1) કૃષ્ણલીલા (2) બાળલીલા (3) ગોચરણ લીલા. રસખાને તેમની કવિતામાં કૃષ્ણની ઘણી લીલાઓ દર્શાવી છે. આ લીલાઓમાં ઘણી જગ્યાએ આધ્યાત્મિક ઝલક પણ જોવા મળે છે. રસખાનની કાવ્યરચનામાં કુંજલીલા, રાસલીલા, પનઘટલીલા, દાણલીલા, વનલીલા, ગૌરસ લીલા જેવી અનેક લીલાના દર્શન થાય છે.
‘પ્રેમવાટિકા‘ નામની તેમની 53 દોહાની રચના અતિપ્રચલિત છે. આ રચનામાં પ્રેમ વિશે તેમણે અદ્ભૂત દોહાઓ લખ્યા છે, જેમ કેઃ
प्रेम–अयनि श्रीराधिका, प्रेम–बरन नँदनंद।
प्रेमवाटिका के दोऊ, माली मालिन द्वंद्व।।1।।
प्रेम–प्रेम सब कोउ कहत, प्रेम न जानत कोय।
जो जन जानै प्रेम तो, मरै जगत क्यौं रोय।।2।।
प्रेम अगम अनुपम अमित, सागर सरिस बखान।
जो आवत एहि ढिग, बहुरि, जात नाहिं रसखान।।3।।
‘સુજાન’ નામના કાવ્યસંગ્રહમાં ભક્તિભાવ ભરી, પ્રેમ સંબંધિત કવિતાઓ સંગ્રહિત થઈ છે. આ સંગ્રહમાં ‘ભક્તિ ભાવના‘, ‘કૃષ્ણ કા અલૌકિકત્વ‘, ‘અનન્ય ભાવ‘, ‘મિલન‘, ‘બાલ–લીલા‘, ‘રૂપ–માધુરી‘, ‘પ્રેમ–લીલા‘, ‘મુસ્કાન માધુરી‘, ‘કૃષ્ણ સૌંદર્ય‘, ‘રૂપ પ્રભાવ‘ જેવી 32 કવિતાઓનો સમાવેશ થાય છે.
રસખાનની मानुस हौं तो वही રચના પણ ખૂબ જાણીતી છે.
मानुस हौं तो वही रसखान, बसौं मिलि गोकुल गाँव के ग्वारन।
जो पसु हौं तो कहा बस मेरो, चरौं नित नंद की धेनु मँझारन॥
पाहन हौं तो वही गिरि को, जो धर्यो कर छत्र पुरंदर धारन।
जो खग हौं तो बसेरो करौं मिलि कालिंदीकूल कदम्ब की डारन॥
રસખાનની બધી જ રચનાઓ નિઃશુલ્ક માણવા માટે કવિતાકોશની આ લિંકની મુલાકાત લેવા જેવી છેઃ http://www.kavitakosh.org/kk/रसखान
સંદર્ભઃ
https://www.outlookindia.com/website/story/ras-khan-a-medieval-krishnaite-sufi/215243
https://en.wikipedia.org/wiki/Raskhan
eછાપું