ટ્રિપલ તલાક વિરુદ્ધ કાયદો લાવીને મોદી નહેરુનું સ્વપ્ન સાકાર કરી રહ્યા છે

0
546
Photo Courtesy: YouTube

રાજીવ ગાંધીના કેબિનેટમાં મંત્રી રહી ચૂકેલા આરીફ મોહમ્મદ ખાને જણાવ્યું છે કે ટ્રિપલ તલાક વિરુદ્ધ કાયદો લાવીને ખરેખર તો નરેન્દ્ર મોદી જવાહર લાલ નહેરુનું સ્વપ્ન જ પૂર્ણ કરી રહ્યા છે.

Photo Courtesy: YouTube

પૂર્વ કોંગ્રેસી અને રાજીવ ગાંધી સરકારમાં કેન્દ્રીય મંત્રી રહેલા આરીફ મોહમ્મદ ખાન તેમના ખુલ્લા વિચારો માટે જાણીતા છે. આરીફ  મોહમ્મદ ખાન ઇસ્લામ ધર્મના પંડિત પણ છે. એક વેબસાઈટને હાલમાં જ આપેલી એક મુલાકાતમાં આરીફ મોહમ્મદ ખાને નરેન્દ્ર મોદી સરકાર દ્વારા મુસ્લિમ મહિલાઓને ન્યાય અપાવવા માટે ટ્રિપલ તલાક વિરુદ્ધ કાયદો ઘડવાને સમર્થન આપ્યું હતું.

ખાને જણાવ્યું હતું કે આ કાયદાનો રાજ્યસભામાં વિરોધ કરી રહેલા પક્ષો ખરેખર તો મુસ્લિમ પર્સનલ લો બોર્ડના પ્રભાવ હેઠળ આવીને આમ કરી રહ્યા છે. આરીફ મોહમ્મદ ખાનનું કહેવું હતું કે જ્યારે સુપ્રિમ કોર્ટે પણ આ કાયદાનું સમર્થન કર્યું હતું ત્યારે પણ મુસ્લિમ પર્સનલ લો બોર્ડે કહ્યું હતું કે આ પ્રથા ચાલુ જ રહેશે.

જ્યારે લોકસભામાં ટ્રિપલ તલાક કાયદાના મામલે ચર્ચા ચાલી રહી હતી ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતા મિનાક્ષી લેખીએ જો આ કાયદો પસાર થાય તો તેને આરીફ મોહમ્મદ ખાનને સમર્પિત કરવાનું કહ્યું હતું. આ પાછળ કારણ એવું હતું કે જ્યારે સુપ્રિમ કોર્ટે પ્રખ્યાત શાહબાનો કેસમાં શાહબાનોને તેના પતિ દ્વારા વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો ત્યારે સંસદના બંને ગૃહોમાં બહુમતીનો લાભ ઉઠાવીને રાજીવ ગાંધીએ આ ચૂકાદો ઉલટાવવા ખાસ કાયદો પસાર કરાવ્યો હતો.

આ સમયે આરીફ મોહમ્મદ ખાને આ કાયદાનો વિરોધ કર્યો હતો અને બાદમાં તેમણે પહેલા સરકાર અને પછી કોંગ્રેસ પણ છોડી દીધી હતી. આરીફ મોહમ્મદ ખાનનું કહેવું છે કે મુસ્લિમ મહિલાઓને સન્માન આપવું અને તેમને તેમના અધિકારો આપવા એ પંડિત જવાહર લાલ  નહેરુનું સ્વપ્ન હતું. આ બાબત માટે આરીફ મોહમ્મદ ખાને એક રસપ્રદ કિસ્સો સંભળાવ્યો હતો.

લાગતું વળગતું: ટ્રિપલ તલાક અંગેના કાયદાના ડ્રાફ્ટના આ રહ્યા મહત્ત્વના મુદ્દાઓ

1950ના દશકમાં ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહર લાલ નહેરુએ બ્રિટીશ અખબાર ધ ગાર્ડિયનને એક ઇન્ટરવ્યુ આપ્યો હતો. ધ ગાર્ડિયનના પત્રકાર તાયા જીન્કીંગે વડાપ્રધાન નહેરુને પૂછ્યું હતું કે તેમના જીવનની સહુથી મોટી સિદ્ધિ કઈ છે? તો નહેરુએ જવાબમાં કહ્યું હતું કે મારી હિંદુ બહેનોને તેમના અધિકારો પરત અપાવવાનું. ત્યારબાદ આ પત્રકારે પૂછ્યું હતું કે તેમના જીવનનો સહુથી મોટો અફસોસ કયો? તો તેના જવાબમાં નહેરુએ કહ્યું હતું કે મારી મુસ્લિમ બહેનોને તેમના અધિકારો ન અપાવી શકવા.

આમ આરીફ મોહમ્મદ ખાનના કહેવા અનુસાર નરેન્દ્ર મોદી ટ્રિપલ તલાક વિરોધી કાયદો બનાવીને ખરેખર તો પંડિત નહેરુનું સ્વપ્ન પૂર્ણ કરી રહ્યા છે.

આરીફ  મોહમ્મદ ખાનને જ્યારે નરેન્દ્ર મોદી મુસ્લિમ મહિલાઓ પાસે ટ્રિપલ તલાક વિરોધી કાયદાનો સંદર્ભ લઈને મત માંગે છે, એમ પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે પોતાના માનવીય પગલાં માટે કોઈ મત માંગે તો એમાં ખોટું શું છે? કોંગ્રેસે તો મત મેળવવા માટે મુસ્લિમ મહિલાઓને માત્ર 300 રૂપિયાનું ભરણપોષણ ન મળે તે માટે આખો કાયદો બદલી નાખ્યો હતો.

સેકયુલરિઝમ અંગે આરીફ મોહમ્મદ ખાને કહ્યું હતું કે જે લોકો ભાજપને કોમવાદી અને ઓવૈસી અને મુસ્લિમ લીગ જેવી પાર્ટીઓને સેક્યુલર માને છે તેમણે ખરેખર તો પાકિસ્તાનમાં સેકયુલરિઝમને શું કહેવાય છે તે જાણવું જોઈએ. પાકિસ્તાનમાં જમાતના લોકો ‘કુફ્ર’ એટલેકે ઈશ્વરની નિંદા કહે છે.

eછાપું

તમને ગમશે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વની ત્રીજી સૌથી વિશ્વાસપાત્ર સરકારના કેપ્ટન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here