ગયા મહીને મધ્ય પ્રદેશમાં એક રેલીને સંબોધતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આદિવાસીઓને ગેરમાર્ગે દોરતું એક નિવેદન કર્યું હતું. ચૂંટણી પંચે આ નિવેદનની ગંભીર નોંધ લઈને રાહુલ ગાંધીને નોટીસ ફટકારી છે.
રાહુલ ગાંધીને ચૂંટણી પંચે નોટીસ મોકલી છે. રાહુલ ગાંધી પર આદિવાસીઓને ગેરમાર્ગે દોરવાનો આરોપ છે. રાહુલ ગાંધીએ એક જનસભામાં એવો આરોપ મૂક્યો હતો કે નરેન્દ્ર મોદી એક એવો કાયદો લાવ્યા છે જેનો અમલ કરવાથી આદિવાસીઓને શૂટ ડાઉન કરી શકાશે. ચૂંટણી પંચે આદર્શ આચારસંહિતાના ભંગને લઈને રાહુલ ગાંધીને આ નોટીસ ફટકારી છે.
ગત 23 એપ્રિલે મધ્ય પ્રદેશના શાહડોલમાં રાહુલ ગાંધીએ એક જાહેર સભા સંબોધિત કરી હતી જેમાં તેમણે કહ્યું હતું કે, “નરેન્દ્ર મોદીએ એક નવો કાયદો બનાવ્યો છે. આદિવાસીઓ માટે એક નવો કાયદો બનાવ્યો છે જેમાં એક લાઈન લખવામાં આવી છે કે આદિવાસીઓને ગોળીથી મારી શકાશે. કાયદામાં લખ્યું છે કે આદિવાસીઓ પર આક્રમણ થશે, તમારી જમીનો છીનવી લે છે, પાણી લઇ લે છે અને પછી કહે છે કે આદિવાસીઓને ગોળી મારી શકાશે.”
ભારતીય જનતા પાર્ટીએ આ ભાષણ વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી અને તેના પૂરાવા માટે ભાષણની વિડીયો ક્લિપ પણ પંચને સુપરત કરવામાં આવી હતી. આ વિડીયો ક્લિપ અને ભાષણની અનુલીપી વાંચ્યા બાદ પંચે રાહુલ ગાંધીને ગઈકાલથી શરુ થતા 48 કલાક દરમ્યાન સ્પષ્ટતા કરવા જણાવ્યું છે. જો તેઓ તેનો જવાબ નહીં આપે તો ચૂંટણી પંચ પોતાની રીતે નિર્ણય સંભળાવી શકે છે.
અહીં મહત્ત્વનો મુદ્દો એ પણ છે કે રાહુલ ગાંધીએ ઉપરોક્ત ભાષણમાં જે વાત કરી છે તે બિલકુલ એવી જ વાત છે જે નક્સલવાદીઓ ગ્રામવાસીઓને ભોળવવા માટે અને તેમને ગેરમાર્ગે દોરવા માટે વાપરતા હોય છે. એક જવાબદાર પક્ષના પ્રમુખ તરીકે રાહુલ ગાંધીએ એ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે તેમની કોઇપણ વાત નક્સલવાદીઓ કે પછી દેશના દુશ્મનોને સીધી કે આડકતરી રીતે મદદ ન કરે.
eછાપું