રાહુલ ગાંધી છેલ્લા એક વર્ષથી લગભગ દરરોજ જાહેરમાં રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણી પર રફેલ મામલે આરોપો લગાવતા જોવા મળ્યા છે, છેવટે એક જાહેર નિવેદન દ્વારા અનિલ અંબાણીએ તેનો જવાબ આપ્યો છે.
રફેલ મામલે અનિલ અંબાણી પર દરરોજ આરોપ મુકતા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પર અનિલ અંબાણીએ છેવટે પલટવાર કર્યો છે. રિલાયન્સ દ્વારા ગઈકાલે જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં રાહુલ ગાંધીને ‘દ્વેષભાવ ધરાવતા જુઠ્ઠા વ્યક્તિ’ ક્રહેવામાં આવ્યા છે.
આ નિવેદનમાં રાહુલ ગાંધીને સીધો સવાલ કરવામાં આવ્યો છે કે 2004 થી 2014 સુધીના દસ વર્ષના સમયગાળામાં અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપને પાવર, ટેલિકોમ, રોડ્સ, મેટ્રો વગેરેમાં કોંગ્રેસના નેતૃત્ત્વ હેઠળની UPA સરકારે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિવિધ પ્રોજેક્ટ્સમાં સામેલ કર્યું હતું તો શું તે સમયે અમે Crony Capitals એટલેકે મૈત્રીપૂર્ણ ઉદ્યોગપતિ ન હતા?
રાહુલ ગાંધી છેલ્લા એક વર્ષથી અને જ્યારથી લોકસભાની 2019ની સામાન્ય ચૂંટણીઓનો પ્રચાર શરુ થયો છે ત્યારથી લગભગ દરરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રફેલ સોદામાં અનિલ અંબાણીને દેસ્સોનો ઓફસેટ પ્રોજેક્ટ અપાવીને લગભગ રૂ. 30,000 કરોડનો ફાયદો કરાવી આપવાનો આરોપ મૂક્યો છે. અત્યારસુધી અનિલ અંબાણીએ આ અંગે મૌન સાધ્યું હતું પરંતુ હવે તેમણે આ નિવેદન દ્વારા રાહુલ ગાંધીને જડબાતોડ જવાબ આપ્યો છે.
ઉપરોક્ત નિવેદનમાં આગળ જણાવવામાં આવ્યું છે કે, “અત્યારસુધી રાહુલ ગાંધીના તમામ જાહેર નિવેદનો કોઇપણ પ્રકારના આધાર ધરાવતા ન હતા કે પછી તેમણે અમારા વિરુદ્ધ શરુ કરેલા ઝેરીલા અપપ્રચાર માટે તેમણે કોઈ પૂરાવા આપ્યા છે. અમે અત્યારસુધી રાહુલ ગાંધીના આ પ્રકારના નિવેદનોને શાંતિથી અને ધીરજ રાખીને અવગણતા રહ્યા છીએ અને એમના આ નિવેદન ચૂંટણી પ્રચારની ગરમીમાં કરવામાં આવ્યા હોવાનું માની લઈએ છીએ, એવી જ રીતે જેવી રીતે તેમના એક જાહેર નિવેદનને કારણે તેમને આજકાલ સુપ્રિમ કોર્ટના ગુસ્સાનો સામનો કરવાનો આવી રહ્યો છે.”
eછાપું