હજી તો છ દિવસ અગાઉ જ કોંગ્રેસે દાવો કર્યો હતો કે તેના શાસનકાળમાં પણ સર્જિકલ સ્ટ્રાઈક્સ થઇ હતી પરંતુ હાલમાં થયેલી એક RTIમાં તેનો એ દાવો પણ જુઠ્ઠો સાબિત થયો છે.
સર્જિકલ સ્ટ્રાઈક્સ પર રાજકારણ રમવાનું કોંગ્રેસને ભારે પડી રહ્યું છે. 2જી મે એ કોંગ્રેસે એક પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે તેણે પણ પોતાના શાસનકાળમાં એક-બે નહીં પરંતુ છ સર્જિકલ સ્ટ્રાઈક્સ કરી હતી. કોંગ્રેસનો આ દાવો ભારતે 2016માં ઉરી હુમલા બાદના જવાબરૂપે પાકિસ્તાનમાં રહેલા આતંકી લોન્ચપેડ્સ પર સર્જિકલ સ્ટ્રાઈક્સ કરી હતી તેનું મહત્ત્વ ઘટાડવાના પ્રયાસથી વધુ કશું જ ન હતું. પરંતુ કોંગ્રેસના આ દાવાના છ જ દિવસમાં તેની કલાઈ એક RTI દ્વારા ખુલી ગઈ છે.
જમ્મુ સ્થિત એક RTI કાર્યકર્તા દ્વારા કરવામાં આવેલી એક RTI અરજીના જવાબમાં સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે 2004-2014ના સમય દરમ્યાન (એટલેકે કોંગ્રેસના શાસનકાળ દરમ્યાન) એક પણ સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી નથી અને આ અંગેનો કોઇપણ રેકોર્ડ અમારી પાસે નથી.
રક્ષા મંત્રાલયે ડાયરેક્ટર જનરલ ઓફ મિલીટરી ઓપરેશન્સના (DGMO) ના હવાલાથી જણાવ્યું છે કે તેમની પાસે માત્ર એક જ સર્જિકલ સ્ટ્રાઈકનો રેકોર્ડ ઉપલબ્ધ છે અને તે સપ્ટેમ્બર 2016માં કરવામાં આવી હતી. આ સર્જિકલ સ્ટ્રાઈક ઉરીમાં આવેલા મિલીટરી કેમ્પ પર આતંકવાદી હુમલામાં સેનાના 19 જવાનોના શહીદ થવાના બદલારૂપે કરવામાં આવી હતી.
આટલું જ નહીં કોંગ્રેસના છ સર્જિકલ સ્ટ્રાઈક્સના દાવા બાદ તેના શાસનકાળમાં રહેલા ત્રણ આર્મી ચીફ્સ દ્વારા આવું કશું પણ થયું હોવાનો સાફ ઇન્કાર કરવામાં આવ્યો હતો. 2018માં પણ આ પ્રકારે એક RTI કરવામાં આવી હતી જેના જવાબમાં પણ 2016ની સર્જિકલ સ્ટ્રાઈક ભારતના ઇતિહાસમાં સર્વપ્રથમ સર્જિકલ સ્ટ્રાઈક્સ હોવાનું જણાવવામાં આવ્યું હતું.
2016માં જ્યારે પાકિસ્તાનમાં ઘૂસીને ભારતીય સેનાના જવાનો દ્વારા સર્જિકલ સ્ટ્રાઈક્સ કરવાની વિરતા દેખાડવામાં આવી હતી ત્યારે પહેલા તો કોંગ્રેસે તેનો અસ્વીકાર જ કર્યો હતો એવી જ રીતે જેવી રીતે પાકિસ્તાને કર્યો હતો. ત્યારબાદ તેણે નરેન્દ્ર મોદી સરકાર પાસે આ અંગેના પૂરાવા માંગ્યા હતા અને જ્યારે જનતાનો રોષ કોંગ્રેસ વિરુદ્ધ વધવા લાગ્યો ત્યારે તેણે માત્ર સેનાને જ ક્રેડિટ આપી હતી.
eછાપું