નરેન્દ્ર મોદી સરકારના સાડા પાંચ વર્ષ અગાઉ સત્તા સાંભળ્યાની સાથેજ દેશભરમાં ચાલી રહેલા ડાબેરી આતંકવાદ પર આકરો પ્રહાર કરવામાં આવ્યો હતો જેના ફળ હવે મળી રહ્યા છે.
નવી દિલ્હી: લોકસભામાં એક પ્રશ્નનો ઉત્તર આપતા ગૃહ મંત્રાલયે ગઈકાલે જણાવ્યું હતું કે છેલ્લા 5 વર્ષમાં દેશમાં ફેલાયેલા ડાબેરી આતંકવાદમાં (માઓવાદી આતંકવાદ) જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે. તાજા આંકડાઓ અનુસાર મે 2014 થી એપ્રિલ 2019ના ગાળામાં અગાઉના પાંચ વર્ષની સરખામણીએ ડાબેરી આતંકવાદમાં 43% જેટલો ઘટાડો નોંધાયો છે.
આટલુંજ નહીં પરંતુ આ સમય દરમ્યાન માઓવાદી આતંકવાદી ઘટનાઓ દેશભરના માત્ર 10 જીલ્લાઓમાં જ નોંધવામાં આવી હતી જેથી એમ કહી શકાય છે કે આ પ્રકારના આતંકવાદનો ફેલાવો પણ ઘટ્યો છે. ઉપરોક્ત સમયગાળામાં ડાબેરી આતંકવાદ સહુથી વધુ ઝારખંડમાં 45% જેટલો ઘટ્યો હોવાનું ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ લોકસભામાં જણાવ્યું હતું.
દેશભરમાંથી માઓવાદી આતંકવાદને નાબૂદ કરવા માટે કેન્દ્ર સરકારે વિવિધ સ્તરીય રણનીતિ બનાવી છે. જેમાં સશસ્ત્ર કાર્યવાહી ઉપરાંત સરકાર દ્વારા કુલ રૂ. 1,775 કરોડનું ફંડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ જનસેવાના કાર્યોમાં ફાળવવામાં આવ્યું હતું જેમાંથી રૂ. 773 કરોડ ફક્ત ઝારખંડ માટે અલાયદા રાખવામાં આવ્યા હતા.
eછાપું