આજે મધ્ય પ્રદેશ વિધાનસભાનું બજેટ સત્ર મળ્યું હતું જેમાં મુખ્યમંત્રી કમલનાથે વિશ્વાસનો મત હાંસલ કરવાનો હતો પરંતુ વિધાનસભા અધ્યક્ષે કોરોના વાયરસને આગળ ધરીને ગૃહ મુલતવી કરી દીધું હતું.
ભોપાલ: અસ્થિરતાનો સામનો કરી રહેલા મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથને દસ દિવસનો વધારાનો સમય મળ્યો છે. મધ્ય પ્રદેશ વિધાનસભાના સ્પીકરે કોરોના વાયરસનું કારણ બતાવીને ગૃહને 26 માર્ચ સુધી મુલતવી રાખવાનો નિર્ણય લીધો હતો.
આજે વિધાનસભાનું બજેટ સત્ર શરુ થયું હતું અને ગવર્નર લાલજી ટંડને ગૃહને સંબોધન કર્યું હતું. રાજ્યપાલના સંબોધન સમાપ્ત થયાના તુરંત બાદ વિપક્ષી ભાજપે વિશ્વાસનો મત લેવાની માંગણી કરતા હોબાળો મચાવ્યો હતો.
આ જ સમયે સ્પિકર NP પ્રજાપતિએ ગૃહને કોરોના વાયરસનું કારણ આપીને ગૃહને દસ દિવસ માટે મુલતવી કરવાનો હુકમ કર્યો હતો. ગઈકાલે રાજ્યપાલ લાલજી ટંડને મુખ્યમંત્રીને આજે જ વિધાનસભામાં વિશ્વાસનો મત લેવાનું કહ્યું હતું.
ભાજપે પહેલેથી જ કહ્યું હતું કે જો આજે વિધાનસભામાં વિશ્વાસનો મત નહીં લેવામાં આવે તો તે કોર્ટમાં જશે.
મધ્ય પ્રદેશ કોંગ્રેસના પૂર્વ વરિષ્ઠ આગેવાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ ધૂળેટીના દિવસે કોંગ્રેસમાંથી વિદાય લઇ લીધી દીધી હતી અને બાદમાં તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા. સિંધિયાના લગભગ 21 ટેકેદાર વિધાનસભ્યો જેમાં 6 મંત્રી છે તેમણે પણ પોતાના વિધાન સભ્યપદ પરથી રાજીનામાં આપી દીધા હતા જો કે સ્પિકરે માત્ર છ મંત્રીઓના જ રાજીનામાં સ્વીકાર્યા હતા.
eછાપું