કોરોના સામે લડી રહેલા ગુજરાત રાજ્ય માટે એક ચિંતા કરાવે તેવા સમાચાર એવા આવી રહ્યા છે કે આવનારા અઠવાડિયામાં રાજ્ય પર અરબ સાગર પરથી એક વાવઝોડું ટકરાઈ શકે છે.
અમદાવાદ: દેશના પૂર્વ કિનારે હાલમાં જ આવેલા વાવાઝોડા એમ્ફાનના ઘા હજી તાજા જ છે. આવામાં હવે એક નવી સાયક્લોનિક સિસ્ટમ અરબ સાગરમાં પણ ડેવલોપ થઇ રહી છે જે વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી સંપૂર્ણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
હવામાન ખાતાંના જણાવ્યા અનુસાર જો આ એક્ટીવ સિસ્ટમ વાવાઝોડાંમાં પરિવર્તિત થશે તો તે આવતા અઠવાડિયે એટલેકે લગભગ 1 થી 3 જુનની આસપાસ કોઇપણ સમયે તે ગુજરાતના સમુદ્ર કિનારે ત્રાટકી શકે છે. પરંતુ વાવાઝોડાના સમુદ્ર કિનારે ત્રાટક્યા પહેલા રાજ્યમાં 27 થી 31 મે સુધી આંધી સાથે ધૂળની ડમરી ઉડે તેવી પણ શક્યતાઓ હોવાનું હવામાન ખાતાંનું વિશ્લેષણ જણાવે છે.
જો આ સાયક્લોનિક પેટર્ન એક્ટીવ થાય તો 1 થી 3 જૂન દરમ્યાન કોઇપણ સમયે તે ગુજરાતના કિનારાને ટકરાઈ શકે છે, પરંતુ હાલમાં તેના વિષે કશું પણ કહેવું જરા વહેલું હશે તેમ પણ હવામાન ખાતું જણાવી રહ્યું છે. અત્યારે તો આ સમગ્ર એક્ટીવીટી પર નજર રાખવામાં આવી રહી છે.
આ સિસ્ટમ અરબ સાગરમાં દક્ષિણ પૂર્વમાં સર્જાઈ શકે તેમ છે અને તેના પગલે લો ડિપ્રેશન જો ઉભું થાય તો મહારાષ્ટ્ર તેમજ ગુજરાતના દરિયા કિનારાઓ પર ભારે વરસાદ અને જોરથી પવન ફૂંકાઈ શકે છે.
હાલમાં તો સમગ્ર રાજ્ય કોરોનાની મહામારી સામે લડી રહ્યું છે એવામાં આ પ્રકારે જો વાવાઝોડા સાથે વરસાદ રાજ્યમાં એન્ટ્રી કરે તો તેની કેવી અસર પડશે તે વિચારવું રહ્યું. જો કે એમ્ફાન વાવાઝોડા દરમ્યાન ઓડિશા સરકારે અદભુત કાર્ય કર્યું હતું અને સુપર સાયક્લોન હોવા છતાં રાજ્યમાં તેના કારણે એક પણ મૃત્યુ નોંધાયું નથી.
eછાપું