પરિવર્તન: 2020માં NDAને રાજ્યસભામાં પૂર્ણ બહુમત મળશે

0
280
Photo Courtesy: scroll.in

આખરે આવતે વર્ષે એ ઘડી આવી જશે જ્યારે સંસદના બંને ગૃહોમાં શાસક NDAની બહુમતિ હશે. આ માટે કેટલીક શરતો પણ પૂરી કરવાની હશે જેના માટે તેણે ખૂબ મહેનત કરવી પડશે.

Photo Courtesy: scroll.in

નવી દિલ્હી: લોકસભામાં ભારે બહુમતિ સાથે ફરીથી જીત મળ્યા બાદ પણ નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વ હેઠળની NDA સરકારને હજી પણ રાજ્યસભામાં બહુમતિ ન હોવાની હકીકત કઠી રહી છે. પરંતુ હવે એ દિવસો દૂર નથી જ્યારે NDA રાજ્યસભામાં પણ બહુમતિ મેળવીને સમગ્ર સંસદ પર પોતાનું આધિપત્ય જમાવી શકશે.

હાલની તમામ વિધાનસભાઓની આંકડાકીય પરિસ્થિતિને ધ્યાનમાં લેતા એવું કહેવાઈ રહ્યું છે કે 2020ના નવેમ્બર મહિનામાં NDAને રાજ્યસભામાં પણ બહુમતિ મળશે. જો આમ થશે તો ટ્રિપલ તલાક અને સિટીઝન્સ બિલ જેવા મહત્ત્વના બિલો પસાર કરવામાં NDAને સરળતા રહેશે એટલુંજ નહીં દેશના વિકાસ માટે જરૂરી એવા તમામ બિલ્સ નરેન્દ્ર મોદી સરકાર આસાનીથી પસાર કરાવી શકશે.

હાલમાં રાજ્યસભામાં NDAના 102 સભ્યો છે જ્યારે કોંગ્રેસના નેતૃત્ત્વ હેઠળના UPAના 65 સભ્યો છે. જે પાર્ટીઓ જે આ બંનેમાંથી કોઈની પણ સાથે જોડાઈ નથી તેવા 73 સભ્યોનું એક અલગ જૂથ છે. રાજ્યસભામાં બહુમતિ માટે 123નો અંક મહત્ત્વનો છે.

આ વર્ષે રાજ્યસભામાં (મોટેભાગે આ વખતે લોકસભાની ચૂંટણી લડીને જીતનાર રાજ્યસભાના સભ્યો સિવાય) 10 બેઠકો ખાલી થવાની છે. તો 2020માં 72 બેઠકો (55 એપ્રિલમાં, 5 જૂનમાં, 1 જુલાઈમાં અને 11 નવેમ્બરમાં) ખાલી થશે જેમાંથી 10 બેઠકો ઉત્તર પ્રદેશની છે.

હાલમાં 6 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ જેમાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, ઓડીશા, તેલંગાણા અને આંધ્રપ્રદેશ સામેલ છે તેમાં NDAને જબરદસ્ત નુકશાન થયું છે, તેની પૂર્તિ તે આવનારા મહિનાઓમાં થનારી મહારાષ્ટ્ર, હરિયાણા અને છત્તીસગઢની વિધાનસભાની ચૂંટણીઓમાં પૂર્ણ બહુમત લાવીને કરી શકે છે.

આવનારા દિવસોમાં ભારતના બે ભૂતપૂર્વ વડાપ્રધાનો પણ રાજ્યસભામાંથી નિવૃત્ત થવાના છે. જેમાંથી પહેલા છે મનમોહન સિંગ જેઓ આવતે મહીને નિવૃત્ત થશે અને બીજા છે એચ ડી દેવેગૌડા. મનમોહન સિંગ છેલ્લા લગભગ અઢી દાયકાથી રાજ્યસભામાં કોંગ્રેસ અને UPAનો ચહેરો બની રહ્યા છે અને તેઓ વખતોવખતથી આસામથી ચૂંટાતા હોય છે.

પરંતુ, આ વખતે આસામમાં કોંગ્રેસ નહીં પરંતુ ભાજપ બહુમતિ ધરાવે છે અને સિંગ ઉપરાંત એક અન્ય કોંગ્રેસી સભ્ય સિતાંશુ કુજુર પણ 14 જૂને નિવૃત્ત થવાના છે. કારણકે કોંગ્રેસ પાસે આસામ વિધાનસભામાં જરૂરી બેઠકો નથી, આ બંને બેઠકો પર ભાજપના ઉમેદવારો જીતશે.

હવે મનમોહન સિંગને જો ફરીથી રાજ્યસભામાં આવવું હશે તો તેમણે આવતા વર્ષ સુધી રાહ જોવી પડશે કારણકે આ જુલાઈમાં ભલે તમિલનાડુમાં રાજ્યસભાની 6 બેઠકો ખાલી થવાની હોય પરંતુ લાગતું નથી કે DMK આ વખતે મનમોહન માટે ખાસ વ્યવસ્થા કરી આપે. હા, આવતે વર્ષે DMK જરૂર આ અંગે વિચારી શકે તેમ છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here