પ્રિયંકાના નિવેદનથી ખળભળાટ; શું હાર અત્યારથી જ સ્વીકારી લીધી?

0
216
Photo Courtesy: hindustantimes.com

એક ન્યૂઝ એજન્સીને આપેલા એક નિવેદનમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા વાડ્રાએ કઈક એવું કહી દીધું છે જેને લીધે કોંગ્રેસની ચૂંટણી લડવાની ગંભીરતા પર સવાલો ઉભા થઇ ગયા છે.

Photo Courtesy: hindustantimes.com

કોંગ્રેસના મહાસચિવ અને ઉત્તર પ્રદેશના પ્રભારી પ્રિયંકા વાડ્રાએ આજે એક એવું નિવેદન આપ્યું છે જેનાથી ખળભળાટ મચી ગયો છે. એક ન્યૂઝ એજન્સીને આપેલા આ નિવેદનમાં પ્રિયંકા વાડ્રાએ કહ્યું હતું કે કોંગ્રેસે ઘણી બેઠકો પર નબળા ઉમેદવાર ઉતાર્યા છે જેમનું કામ માત્ર ભાજપના મત કાપવાનું છે. પ્રિયંકાના આ નિવેદનનો સીધેસીધો મતલબ એમ કરવામાં આવ્યો છે કે કોંગ્રેસે હજી પણ લોકસભાની ચૂંટણીના ત્રણ તબક્કા બાકી છે ત્યારે જ પોતાની હાર સ્વીકારી લીધી છે.

પ્રિયંકાના ઉપરોક્ત નિવેદનનો કેટલાક લોકો એવો પણ અર્થ કાઢી રહ્યા છે કે કોંગ્રેસ આ ચૂંટણી જોઈતી ગંભીરતાથી નથી લડી રહી અને માત્ર ભાજપના મત કાપવા માટે જ તે મોટાભાગની બેઠકો પર ચૂંટણી લડી રહી છે. જો કે પ્રિયંકાએ આ નિવેદન આપ્યા બાદ તરત જ પોતાનો રાગ બદલતા કહ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં ભાજપ બહુ ખરાબ રીતે હારવાનું છે.

વારાણસીથી ચૂંટણી ન લડવાના નિર્ણય અંગે પ્રિયંકા વાડ્રાએ કહ્યું હતું કે તેઓ ચૂંટણી લડવા તો માંગતા હતા પરંતુ તે માટે તેમણે ગંભીરતાથી વિચાર્યું ન હતું, ઉપરાંત જો તેઓ વારાણસીથી ચૂંટણી લડત તો તેમની હાજરી અહીં પૂરતી મર્યાદિત થઇ જાત અને તેમને ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવવાનું જે કામ આપવામાં આવ્યું હતું તે પૂર્ણ ન થાત.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here