ન્યુઝીલેન્ડ પ્રવાસની પહેલીજ ટેસ્ટ મેચમાં જબરદસ્ત હારનો સામનો કર્યા બાદ કેપ્ટન વિરાટ કોહલીએ ટીમના બેટ્સમેનોની વધુ પડતી ધીમી બેટિંગની આકરી ટીકા કરી છે.
વેલિંગ્ટન: બે ટેસ્ટની સિરીઝમાં ભારત વેલિંગ્ટન ખાતેની પહેલી ટેસ્ટ દસ વિકેટે હારી ચૂક્યું છે. આ હાર પાછળ વિરાટ કોહલીએ બેટ્સમેનોનો અતિશય રક્ષણાત્મક અભિગમ જવાબદાર હોવાનું કહ્યું છે.
વિરાટ કોહલીનું માનવું છે કે જો બેટ્સમેન સિંગલ લઈને સ્ટ્રાઈક ફરતી રાખવાનું કામ પણ નહીં કરે તો ટીમની જીતની સંભાવના શૂન્ય થઇ જાય છે. વિરાટ કોહલીએ ગ્રીન પીચ પર આક્રમક અભિગમ દાખવવાને બહેતર વિકલ્પ બતાવ્યો છે.
વેલિંગ્ટન ટેસ્ટમાં બીજી ઇનિંગમાં ચેતેશ્વર પુજારાએ 81 બોલમાં 11 રન કર્યા હતા અને હનુમા વિહારીએ 79 બોલમાં 15 રન કર્યા હતા. આ પ્રકારની બેટિંગને કારણે ભારતીય ઇનિંગને જરૂરી એવી ગતિ મળી શકી ન હતી અને પરિણામે મયંક અગરવાલ જેવા આક્રમક બેટ્સમેન પર દબાણ આવી ગયું હતું અને છેવટે તેણે એક ખરાબ શોટ રમીને પોતાની વિકેટ પણ ગુમાવી દીધી હતી.
વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે જો બેટ્સમેન કોઈ સારા બોલ પર આઉટ થાય તો તે તેનું બદનસીબ છે પરંતુ જો તે હાથેકરીને ધીમું રમી અને પોતાના પર તેમજ ટીમ પર દબાણ લાવીને રમે અને આઉટ થાય તો તે એ ખેલાડી માટે તેમજ ટીમ માટે યોગ્ય નથી.
વિરાટ કોહલીએ સિંગલ લેવા પ્રત્યે શંકા ન કરવાની પોતાના બેટ્સમેનોને સલાહ આપી હતી. સચેત રહીને જ બેટિંગ કરવી એ ભારતની બહાર બહુ ઓછી મદદ કરતી હોવાનું પણ કોહલીએ ઉમેર્યું હતું.
eછાપું