ચીન અને ભારત વચ્ચે વ્યાપારી ખાધ ઘણી ઊંડી છે, પરંતુ હવે આ ખાધ ઘટી શકે છે કારણકે ચીને ભારતને તેના એક અતિ મહત્ત્વના વ્યાપારી શિખર સંમેલનમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું છે.

બેઇજીંગ: ભારતના નિર્યાતકારોને એક મોટું પ્રોત્સાહન મળવા જઈ રહ્યું છે જેનો ઉપયોગ કરીને તેઓ ચીનના બજારમાં પોતાના ઉત્પાદનો વેંચી શકે છે. ચીને ભારતને તેના બીજા ઇન્ટરનેશનલ ઈમ્પોર્ટ એક્સ્પો (CIIE) દરમ્યાન ભારતને ‘ગેસ્ટ ઓફ ઓનર’ તરીકે આમંત્રણ આપ્યું છે. આ એક્સ્પો આવતીકાલથી શાંઘાઈમાં શરુ થશે.
CIIEનું ઉદ્ઘાટન ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ કરશે અને અહીં ભારત ચીની ખરીદારો સમક્ષ IT, ફાર્મા અને કૃષિ સહીત અસંખ્ય અન્ય ક્ષેત્રોના પોતાના ઉત્પાદનોનું માર્કેટિંગ કરશે. ભારતીય વ્યાપારી તેમજ ઉદ્યોગપતિઓના પ્રતિનિધિમંડળનું નેતૃત્ત્વ ભારતના વાણિજ્ય સચિવ અનુપ વધવાન કરશે.
CIIEનું મહત્ત્વ એટલે વધારે છે કારણકે અહીં 5 લાખથી પણ વધુ આયાતકારો હિસ્સો લેશે એટલુંજ નહીં પરંતુ ચીન સિવાયના અન્ય દેશોના પણ અસંખ્ય આયાતકારો પણ અહીં ઉપલબ્ધ હશે. ભારતીય નિર્યાતકારોનું લક્ષ્ય ચીની આયાતકારોને અહીંની એક્ઝીમ બેંક દ્વારા મળેલા 42.5 બિલીયન અમેરિકન ડોલર્સની લોનનો મહત્તમ ઉપયોગ ભારતમાંથી આયાત કરવા માટે રાજી કરવાનું રહેશે.
આ એક્સ્પોમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમાન્યુએલ મેક્રોં જેવા નોંધપાત્ર રાષ્ટ્રાધ્યક્ષો પણ ઉપસ્થિત રહેવાના હોવાથી તેનું મહત્ત્વ વધી જાય છે. ભારત અને ફ્રાન્સ ઉપરાંત CIIEમાં ઝેક રિપબ્લિક, કમ્બોડિયા, ઇટલી, ગ્રીસ, જમૈકા, કઝાકિસ્તાન, જોર્ડન, પેરુ, મલેશિયા, ઝામ્બિયા, ઉઝબેકિસ્તાન, રશિયા અને થાઈલેન્ડના વ્યાપારીઓ તેમજ ઉદ્યોગપતિઓ પણ હાજર રહેશે.
eછાપું