આયુષ્માન ખુરાનાની ફિલ્મ બાલા આવતીકાલે રિલીઝ તો થઇ રહી છે પરંતુ તેની વાર્તા ચોરી કરેલી છે તેવો આરોપ હવે બીજી વખત લાગી ચૂક્યો છે.
મુંબઈ: આવતીકાલે દેશભરના સિનેમાગૃહોમાં રિલીઝ થનારી આયુષ્માન ખુરાના, ભૂમિ પેડનેકર અને યામિ ગૌતમ અભિનીત ફિલ્મ ‘બાલા’ પર ફરી એકવાર વાર્તા ચોરીનો આરોપ લાગ્યો છે. આ અગાઉ ગત શુક્રવારે રિલીઝ થયેલી ‘ઉજડા ચમન’ના નિર્માતાઓએ પણ આ પ્રકારનો આરોપ બાલા પર લગાવ્યો હતો.
ઉજડા ચમનના નિર્માતાઓએ બાલા પર વાર્તા ચોરીનો કેસ પણ કર્યો હતો પરંતુ બાદમાં તેને પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. પરંતુ હવે ફિલ્મ નિર્માતા કમલકાંત ચન્દ્રાએ દાવો કર્યો છે કે બાલા એ ખરેખર તેમના જીવનની વાત પર આધારિત છે.
પોતાના આરોપને સાચો ગણાવતા ચન્દ્રાએ કહ્યું છે કે જ્યારે 2017માં આયુષ્માનની ફિલ્મ ‘બરેલી કી બર્ફી’ રિલીઝ થઇ હતી ત્યારે તેમણે તેને આ વાર્તા સંભળાવી હતી. તે વખતે આયુષ્માને પોતાને ટાલીયા પુરુષની ભૂમિકા ભજવવાની કોઈજ ઈચ્છા નથી તેમ જણાવી દીધું હતું.
પરંતુ હવે તેણે આ રોલ સ્વીકાર્યો પણ છે અને તેના રોલ પર આધારિત ફિલ્મ રિલીઝ પણ થવા જઈ રહી છે. કમલકાંત ચન્દ્રાએ માંગણી કરી છે કે ફિલ્મ બાલા પર કાયમી સ્ટે મૂકી દેવામાં આવે. જો કે ફિલ્મ રિલીઝ થવાના બે દિવસ અગાઉ જ ચન્દ્રા દ્વારા આ પ્રકારનો દાવો કેમ કરવામાં આવ્યો છે તેના પર ફિલ્મી વર્તુળોમાં ચર્ચા છે.
આ પ્રકારે અગાઉ પણ કોઈ મોટી ફિલ્મના રિલીઝ થવાના અમુક દિવસો પહેલા તેના પર આરોપો લગાવવામાં આવી ચૂક્યા છે અને છેવટે ઘી ના ઠામમાં ઘી પડ્યું રહેતું હોય છે.
eછાપું