રામ જન્મભૂમિનો કેસ જ્યારે સુપ્રિમ કોર્ટમાં ચાલી રહ્યો હતો ત્યારે અને ત્યારબાદ હિંદુઓ વિરુદ્ધ ઝેર ઓકીને એડવોકેટ રાજીવ ધવન હિંદુઓમાં તો અળખામણા થઇ જ ગયા હતા પરંતુ હવે મુસ્લિમોએ પણ તેમનો સાથ છોડી દીધો છે.
ગયા મહીને સુપ્રિમ કોર્ટે રામ જન્મભૂમિ પર ઐતિહાસિક ચૂકાદો આપ્યો હતો જેમાં સંપૂર્ણ વિવાદિત જમીન હિંદુ પક્ષને આપી દેવાનો આદેશ કર્યો હતો. આ ઉપરાંત કોર્ટે મુસ્લિમ પક્ષને અયોધ્યા શહેરમાં જ મહત્ત્વની જગ્યાએ મસ્જીદ બનાવવા માટે પાંચ એકર જમીન આપવાનો પણ આદેશ કર્યો હતો. સુપ્રિમ કોર્ટમાં ચાલેલો આ સમગ્ર કેસ દરમ્યાન જમિયત ઉલેમા એ હિન્દ તરફથી સિનીયર એડવોકેટ રાજીવ ધવન લડ્યા હતા. જ્યારે આ કેસ સુપ્રિમ કોર્ટમાં ચાલ્યો હતો ત્યારે પણ રાજીવ ધવને હિંદુ ધર્મ અને હિંદુઓ પ્રત્યે કેટલાક વાંધાજનક નિવેદનો પોતાની દલીલો દરમ્યાન આપ્યા હતા.
આ ઉપરાંત એક સમયે સુપ્રિમ કોર્ટમાં અયોધ્યા રામ જન્મભૂમિને લગતો નકશો પણ આ જ રાજીવ ધવને ભરી કોર્ટમાં ફાડી નાખ્યો હતો. અયોધ્યા મામલાનો ચૂકાદો આવી ગયા બાદ રાજીવ ધવને વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું હતું કે ભારતમાં જ્યારે પણ કોમી હિંસા થાય છે ત્યારે વાંક માત્ર હિંદુઓનો જ હોય છે. આ નિવેદનના સમગ્ર હિંદુ સમાજમાં અત્યંત ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા.
પરંતુ હવે જાણેકે કર્મનો સિદ્ધાંત રાજીવ ધવનને લાગુ પડી રહ્યો હોય એ રીતે તેઓ હિંદુઓમાં તો કોર્ટની અંદર અને કોર્ટની બહાર પોતાના વર્તનને કારણે પહેલેથી જ અળખામણા બની જ ગયા હતા પરંતુ હવે મુસ્લિમ પક્ષે પણ તેમનો સાથ છોડી દીધો છે. ગઈકાલે જમિયત ઉલેમા એ હિંદે નિર્ણય લીધો હતો કે તેઓ અયોધ્યા મામલે સુપ્રિમ કોર્ટના ફેસલા વિરુદ્ધ રિવ્યુ પીટીશન દાખલ કરશે. જમિયતે આ પાછળ ચુકાદામાં રહેલી 14 ભૂલો તરફ નિર્દેશ કર્યો હતો.
હવે સમાચાર એવા મળી રહ્યા છે કે આ રિવ્યુ પીટીશનને સુપ્રિમ કોર્ટમાં દાખલ કરવા માટે જમિયત ઉલેમા એ હિંદે રાજીવ ધવનને અયોગ્ય ગણતા તેમને આ કેસ સોંપ્યો નથી. રાજીવ ધવને ખુદ સ્વીકાર કર્યો છે કે જમિયતે તેમને આ કેસ સોંપ્યો નથી. જો કે રાજીવ ધવને એમ કહીને જમિયત ઉલેમા એ હિંદની ઝાટકણી જરૂર કાઢી હતી કે તેણે પોતાને આ કેસ ન સોંપવા પાછળ તેમની કહેવાતી નાદુરસ્ત તબિયતનું બહાનું આપ્યું છે જે સાચું નથી.
રાજીવ ધવનનું કહેવું છે કે જમિયત ઉલેમા એ હિંદ પાસે એ હક્ક છે કે તેમણે રિવ્યુ પીટીશનનો કેસ કોને સોંપવો અને કોને ન સોંપવો પરંતુ તેઓ બિલકુલ સ્વસ્થ છે અને આથી આ પ્રકારની કોઈ અફવાને માનવી નહીં. આમ, આ તમામ બાબતોનો સીધો નિષ્કર્ષ એક જ નીકળે છે કે જમિયત ઉલેમા એ હિંદ રાજીવ ધવન પર હવે વિશ્વાસ કરવા માંગતું નથી.
રાજીવ ધવન સમક્ષ તકલીફ હવે એ ઉભી થઇ છે કે કેસ જીતવાની કોશિશમાં તેઓ હિંદુઓ વિરુદ્ધ સુપ્રિમ કોર્ટમાં ઘણું બોલી ચુક્યા છે એટલુંજ નહીં પરંતુ રામ જન્મભૂમિનો નકશો પણ ફાડી ચૂક્યા છે. આ બધું જ મિડીયામાં જાહેર થઇ ચૂક્યું છે. એટલુંજ નહીં પરંતુ કેસ હાર્યાના આઘાતમાં તેમણે હિંદુઓને કોમી વૈમનસ્ય ફેલાવનારાઓ પણ કહી દીધા છે.
રાજીવ ધવનને એવું લાગ્યું હશે કે આમ કરીને તેઓ રિવ્યુ પીટીશનનો કેસ જમિયત પાસેથી મેળવી શકશે, પરંતુ હવે એવું બન્યું છે કે કેસ હારી જવાને કારણે કદાચ જમિયત ઉલેમા એ હિંદને પણ તેમના પર વિશ્વાસ નથી અને કદાચ તેમના પ્રત્યેનું સન્માન પણ ઓછું થઇ ગયું છે. આમ સુપ્રિમ કોર્ટના સિનીયર એડવોકેટ રાજીવ ધવન હવે ન ઘરના રહ્યા છે કે ન તો ઘાટના!
eછાપું