કરોડો હિન્દુઓની આસ્થાના પ્રતિક એવા ભગવાન શ્રી રામના જન્મસ્થળ અયોધ્યા ખાતે નિર્માણ પામી રહેલા ભવ્ય રામ મંદિરને મળનારા ફાળાની રકમ ગઈકાલે વિક્રમી સ્તરને પાર કરી ગઈ છે.
અયોધ્યા: પ્રભુ શ્રી રામના જન્મસ્થળ અયોધ્યા ખાતે એક ભવ્ય રામ મંદિર નિર્માણ પામી રહ્યું છે.
લગભગ બે સદીથી પણ વધુ સમયની કાયદાકીય લડાઈ બાદ કરોડો હિંદુઓની આસ્થાના પ્રતિક ભગવાન રામના સન્માનમાં મંદિરનું નિર્માણ કાર્ય શરુ કરવાનો આદેશ સુપ્રિમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો હતો.
આ વર્ષે મકરસંક્રાંતિના બીજા દિવસથી દેશભરમાં આ ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે ફાળો ઉઘરાવવાનું કાર્ય શરુ થયું હતું.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય ચંપત રાયના કહેવા અનુસાર અત્યારસુધીમાં આ ફાળાની રકમ રૂ. 1000 કરોડના આંકડાને પસાર કરી ગઈ છે.
ચંપત રાય જેઓ આ ટ્રસ્ટના સચિવ પણ છે, તેમણે ઉમેર્યું હતું કે છેલ્લા એક મહિનાથી પણ ઓછા સમયમાં દેશભરના નાગરિકોએ રામ મંદિર નિર્માણ કાર્ય માટે પોતપોતાના હ્રદય ખોલીને ફાળો આપ્યો છે.
રાયના જણાવ્યા અનુસાર ટ્રસ્ટના ત્રણ રાષ્ટ્રીયકૃત બેન્કો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા અને પંજાબ નેશનલ બેંકમાં ખાતાં છે જેમાં જમા થયેલી ફાળાની રકમ 1000 કરોડને પણ પસાર કરી ગઈ છે.
વિશ્વ હિંદુ પરિષદના દોઢ લાખથી પણ વધુ કાર્યકર્તાઓ દેશભરમાં ફરીને ફાળો ઉઘરાવી રહ્યા છે અને 37 મનોનીત કાર્યકર્તાઓ આ ફાળાની રકમ ઉપરોક્ત બેંકમાં આવેલા ટ્રસ્ટના ખાતાઓમાં જમા કરાવી રહ્યા છે.
ચંપત રાયે કહ્યું હતું કે દેશભરના અંતરિયાળ ગામડાંઓમાંથી પણ લોકો પોતપોતાની શ્રદ્ધા અનુસાર ફાળો આપી રહ્યા છે જેને VHPના કાર્યકર્તાઓ બેંક સુધી પહોંચાડી રહ્યા છે.
eછાપું