ભારે રાજકીય ઉથલપાથલ બાદ શિવસેનાએ દાયકાઓ જૂના સાથી ભાજપને છેહ દઈને NCP અને કોંગ્રેસ સાથે મળીને મહા આઘાડીના બેનર હેઠળ મહારાષ્ટ્રમાં સરકાર બનાવી હતી પરંતુ હવે શિવસેનાના જ મોટાભાગના ધારાસભ્યો સરકારથી નારાજ હોવાનું જાણવા મળ્યું છે.
મુંબઈ: હજી ફક્ત બે મહિના જેટલીજ જૂની મહારાષ્ટ્રની મહા વિકાસ આઘાડી સરકાર પર અત્યારથી જ તકલીફના વાદળો છવાઈ ગયા છે. ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના સંસદ સભ્ય નારાયણ રાણેએ દાવો કર્યો છે કે શિવસેનાના મોટાભાગના વિધાનસભ્યો મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેથી નારાજ છે.
નારાયણ રાણેનું કહેવું છે કે શિવસેનાના 56માંથી 35 વિધાનસભ્યો મુખ્યમંત્રી તરીકે ઉદ્ધવ ઠાકરેની કાર્યપદ્ધતીથી અસંતુષ્ટ છે. નારાયણ રાણેએ એમ પણ જણાવ્યું હતું કે આ સરકાર પાસેથી એમ પણ કોઈજ પ્રકારની અપેક્ષા રાખી શકાય તેમ નથી કારણકે તેને કામ કરતા આવડતું જ નથી.
જે સરકારમાં મંત્રીમંડળની રચના એક મહિના બાદ થાય એ સરકાર કેવી રીતે પ્રજાના હિત અંગે ચિંતા કરી શકે તે વિચારી શકાય તેવું છે. નારાયણ રાણેએ દાવો કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટી જેના મહારાષ્ટ્રમાં 105 વિધાનસભ્યો છે તે બહુ જલ્દીથી સત્તામાં પરત આવશે.
પોતાના દાવાનું સમર્થન કરતા રાણેએ જણાવ્યું હતું કે તેની શરૂઆત ઓસ્માનાબાદથી થઇ હતી જ્યાંના શિવસેનાના વિધાનસભ્ય તાનાજી સાવંતે ઉદ્ધવ ઠાકરેના હુકમનો અનાદર કરીને અહીં ભાજપના મેયરની ચૂંટણી કરાવી દીધી હતી.
મહારાષ્ટ્રમાં શિવસેના, NCP અને કોંગ્રેસની મહા વિકાસ આઘાડી સરકાર સત્તા પર છે. ભારે રાજકીય ઉથલપાથલ બાદ આ સરકારે શપથ લીધા બાદ એક મહીને મંત્રી મંડળની રચના કરી હતી અને ખાતાની ફાળવણીમાં પણ ત્રણેય પક્ષોમાં વ્યાપક અસંતોષ જોવા મળ્યો હતો.
eછાપું